ખેડા જિલ્લાના મહુધામાં એક હિન્દુ યુવક પર થયેલા જાનલેવા હુમલાની ઘટના બાદ તંત્ર અને પોલીસ વિભાગ ભારે આક્રમક મૂડમાં આવી ગયું છે. આ ગંભીર ઘટનામાં પોલીસે તાત્કાલિક ધોરણે 3 આરોપીઓ સામે FIR નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઉત્પન્ન થાય અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે હેતુથી તંત્ર દ્વારા ગુનેગારો અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે આકરા પગલાં ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

ફીનાવ ભાગોળ અને મહુધા ચોકડી પર 'દાદાનું બુલડોઝર'

હુમલાની ઘટનાના વિરોધ અને અસામાજિક તત્વોને કડક સબક શીખવવા માટે તંત્ર દ્વારા મહુધામાં મેગા ડિમોલેશન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સ્ટેટ રોડ અને બિલ્ડિંગ વિભાગની ટીમો દ્વારા 'દાદાના બુલડોઝર' સાથે ફીનાવ ભાગોળ અને મહુધા ચોકડી સહિતના મુખ્ય વિસ્તારોમાં ત્રાટકીને કાર્યવાહી કરવામાં આવી હતી. આ દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન રસ્તા પર નડતરરૂપ અને ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા આશરે 48 જેટલા કાચા-પાકા દબાણો પર બુલડોઝર ફેરવીને તેમને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે.

https://x.com/sandeshnews/status/2094660931712422178?s=20

SP સહિત 250થી વધુ પોલીસ જવાનો તૈનાત

ડિમોલેશનની આ કામગીરી દરમિયાન કોઈ અપ્રિય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થળ પર લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. ખેડા જિલ્લા પોલીસ વડા (SP)ની સીધી આગેવાની હેઠળ DYSP, PI, PSI સહિતના ઉચ્ચ અધિકારીઓ અને 250થી વધુ પોલીસ જવાનોનો કાફલો ઘટનાસ્થળે તૈનાત રહ્યો હતો. તંત્રની આ આક્રમક બુલડોઝર કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો : Ahmedabad News : દેવદૂત બન્યા રેલવે કર્મચારી, ચાલુ ટ્રેને લપસેલા આધેડને ટેક્નિશિયને મોતના મુખમાંથી ખેંચી લીધો...