પાટણ જિલ્લાના સમી તાલુકાના કઠીવાડા નજીક આવેલી બંધ જિનિંગ મિલમાંથી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલી માસૂમ બાળકીના કેસમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બાળકી ત્યજી દેવાયેલી નહીં પરંતુ ખરીદવામાં આવી હતી. આ મામલે ઝડપાયેલા પ્રેમી યુગલ પરેશ ઠાકોર અને રેખાબેન વાલ્મિકીની સઘન પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે તેઓએ આ માસૂમ બાળકીને માત્ર રૂ. 10,000 માં વેચાતી લીધી હતી.

સંતાનની જરૂરિયાત માટે અમદાવાદથી કરી ખરીદી

પોલીસ તપાસમાં ખૂલેલી વિગતો અનુસાર, 4 બાળકોની માતા રેખાબેનના પતિના અવસાન બાદ તેને પરેશ ઠાકોર સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. બંનેને સંતાનની જરૂરિયાત હોવાથી તેઓએ આશરે બે મહિના પહેલાં અમદાવાદના સિકંદર નામના શખ્સ પાસેથી આ બાળકી ખરીદી હતી. જોકે બાદમાં કોઈ ચોક્કસ કારણોસર કે વિવાદને પગલે બાળકીને બંધ જિનિંગ મિલમાં મૂકી દેવામાં આવી હતી.

તપાસ AHTU ને સોંપાઈ, સિકંદરની શોધખોળ તેજ

આ સમગ્ર બનાવમાં બાળ તસ્કરી અને માનવ તસ્કરીનું મોટું નેટવર્ક સામે આવતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને આગળની સઘન તપાસ AHTU (એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ) ની ટીમને સોંપવામાં આવી છે. અમદાવાદનો સિકંદર નામનો શખ્સ માસૂમ બાળકી ક્યાંથી લાવ્યો હતો અને આ બાળ તસ્કરી નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં પોલીસે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Ambaji જતા પદયાત્રીઓ માટે મોટા સમાચાર, અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે 1 ઓક્ટોબર સુધી દોડશે સ્પેશિયલ ટ્રેન