રાજકોટ જિલ્લાના જેતપુર ઉદ્યોગનગરમાં પ્રેસ પ્રતિનિધિ અને સરકારી અધિકારીઓના નામે વેપારીઓ પાસે ખંડણી અને તોડબટ્ટો કરતી શાતિર ટોળકી સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં કથિત પત્રકારો વિરુદ્ધ બે અલગ-અલગ ગુના નોંધાયા છે.
પ્રથમ ગુનો: GPCB અધિકારીની ઓળખ આપી રૂ. 30,000 પડાવ્યા
પ્રથમ ઘટનામાં જેતપુરના 'જય ખોડિયાર સાડી' નામના કારખાનાના માલિકે તોડબાજી અંગે ફરિયાદ નોંધાવી છે. લોકલ ન્યૂઝ ચેનલ ચલાવતા અજય જાદવ અને પોતાને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી તરીકે ઓળખાવતા વિજય પરમાર કારખાનામાં તોડ કરવા પહોંચ્યા હતા. બંનેએ વેપારીને ડરાવી-ધમકાવી રૂ. 1,00,000ની માંગણી કરી હતી અને આખરે રૂ. 30,000 પળાવી લીધા હતા.
જૂનાગઢમાં આ જ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ થયા બાદ વેપારીએ તેમના ફોટો અને વીડિયો જોતા જ ખ્યાલ આવ્યો હતો કે, આ ગઠિયાઓ જ તેમની પાસેથી નાણાં પડાવી ગયા હતા.

બીજો ગુનો: 'દયાનંદ ઈન્ડસ્ટ્રીઝ' પાસેથી રૂ. 50,000 ની ખંડણી વસૂલી
બીજા બનાવમાં જેતપુરની 'દયાનંદ ઈન્ડસ્ટ્રીઝ' નામની કાપડ મિલમાં તોડબાજી આચરવામાં આવી હતી. હેમંત શેખવા, રાકેશ પીઠડીયા અને વિજય પરમાર નામના કથિત પત્રકારોએ મિલ માલિક પાસે ધાકધમકી આપી ખંડણી માંગી હતી અને ભય બતાવીને રૂ. 50,000 નો તોડ કરી લીધો હતો. આ અંગે પણ ઉદ્યોગનગર પોલીસ મથકમાં બીજો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

આરોપીઓ હાલ જૂનાગઢ પોલીસના કબ્જામાં
વેપારીઓ પાસેથી લાખો રૂપિયાનો તોડ કરનાર આ આરોપીઓ હાલ જૂનાગઢ પોલીસ સ્ટેશનના કબ્જામાં હોવાની વિગતો સામે આવી છે. જૂનાગઢમાં ગુનો નોંધાયા બાદ આ ગઠિયાઓની કાળી કરતૂતોનો પર્દાફાશ થયો હતો, જે બાદ જેતપુરના વેપારીઓ પણ હિંમત દાખવીને પોલીસ સમક્ષ આવ્યા છે.

રાજકોટ ગ્રામ્ય SP વિજયસિંહ ગુર્જરની નાગરિકોને અપીલ
આ સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે વેપારીઓ અને આમ જનતાને અપીલ કરતા જણાવ્યું છે કે, જો કોઈ પણ કથિત કે તોડબાજ પત્રકાર ધાકધમકી આપી તમારી પાસે નાણાંની માંગણી કરે અથવા દબાણ લાવે તો ડર્યા વગર તુરંત પોલીસનો સંપર્ક કરો. પ્રેસના નામે કે સરકારી તંત્રના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી હેરાનગતિ કરતા તત્વો સામે પોલીસ કડક પગલાં લેશે.
આ પણ વાંચો - Rajkot: ભક્તિનગરમાં પિતાએ ઊંઘતા પુત્રને હથોડો મારી પતાવી દીધો, પોતે પોલીસ મથકે હાજર થયો