રાજકોટ શહેરના ભક્તિનગર વિસ્તારમાં પિતા-પુત્રના પવિત્ર સંબંધને લજવાવતી અતિ ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, આરોપી પિતા બાબુભાઈ રઘાભાઈ સવસેટા પોતાની ખરાબ કુટેવો અને સ્ત્રીસંગત ધરાવતો હતો, જેના કારણે ઘરમાં અવારનવાર મોટો ઝઘડો અને માથાકૂટ થતી હતી. આ જ બાબતે બાબુભાઈને પોતાની પત્ની તેમજ પુત્ર રામાભાઈ સાથે રોજેરોજ બોલાચાલી થતી હતી.

પિતાએ ઊંઘતા પુત્રને હથોડો મારી પતાવી દીધો

બનાવના દિવસે આરોપીની પત્ની પોતાની દીકરીના ઘરે ગઈ હોવાથી ઘરમાં માત્ર પિતા બાબુભાઈ અને પુત્ર રામાભાઈ જ એકલા હતા. અગાઉથી મનમાં અદાવત રાખીને બેઠેલા પિતાએ ઊંઘી રહેલા પોતાના એકના એક પુત્ર રામાભાઈ પર અચાનક તીક્ષ્ણ અને ભારે હથોડા વડે માથાના ભાગે જીવલેણ ઘા ઝીંકી દીધા હતા.માથાના ભાગે હથોડાના આકરા પ્રહાર વાગતાની સાથે જ રામાભાઈ સવસેટાનું ઘટનાસ્થળે જ રક્તરંજિત હાલતમાં મોત નીપજ્યું હતું. પુત્રની હત્યા કર્યા બાદ આરોપી પિતા બાબુભાઈ સવસેટા ભાગી જવાને બદલે સીધો જ ભક્તિનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને પોતે જ પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી સરન્ડર કર્યું હતું.

ભક્તિનગર પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો 

આ ઘટનાની જાણ થતાં જ ભક્તિનગર પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આરોપી પિતાને કસ્ટડીમાં લઈ કાયદેસરની તપાસ શરૂ કરી છે. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે જ ત્રણ-ત્રણ બહેનોના એકના એક ભાઈની તેના જ પિતાએ ક્રૂર હત્યા કરી નાખતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

આ પણ વાંચો: Kutch : નેપાળી મહિલા ગેંગની કરોડોની ઘરફોડ ચોરીના 6 ગુના ઉકેલાયા, ચોરીના પૈસા મોજ શોખમાં ઉડાવી દેતી