રાજકોટ શહેરમાં ઉપવાસ અને ફરાળ કરતા નાગરિકો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પવિત્ર દિવસોમાં લોકો શ્રદ્ધાપૂર્વક જે ફરાળી પેટીસ આરોગે છે, તેમાં ફરાળી સામગ્રીને બદલે મકાઈનો લોટ વાપરવામાં આવતો હોવાનું ખુલ્લું પડ્યું છે. રાજકોટના જાણીતા 'જૈન સ્વિટ્સ'માંથી મકાઈના લોટવાળી ફરાળી પેટીસ મળી આવતાં તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. ધાર્મિક આસ્થા સાથે ખીલવાડ કરતી આ ગંભીર બાબત સામે આવતાં મનપાના આરોગ્ય વિભાગે સ્થળ પર જ 32 કિલો જેટલી બનાવટી ફરાળી પેટીસનો નાશ કર્યો હતો.

મનપાના 44 ધંધાર્થીઓને ત્યાં દરોડા

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્યપદાર્થોનું વેચાણ કરતી 44 જેટલી પેઢીઓ અને ધંધાર્થીઓને ત્યાં સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન અલગ-અલગ દુકાનો અને રેસ્ટોરન્ટ્સમાંથી કુલ 52 કિલો જેટલો અખાદ્ય અને વાસી ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન જાણીતી 'કૃષ્ણમ કાઠિયાવાડી' હોટલમાંથી પણ 20 કિલો જેટલું વાસી શાક અને કણક (લોટ) મળી આવતાં આરોગ્ય વિભાગની ટીમે તેનો પણ સ્થળ પર જ નાશ કરાવી દીધો હતો.

ભેળસેળિયા વેપારીઓ સામે તંત્ર લાલઘૂમ

આરોગ્ય વિભાગની ટીમે માત્ર જપ્ત કરાયેલા ખોરાકનો નાશ કરીને અટકી નથી, પરંતુ શંકાસ્પદ જણાતી 17 જેટલી પેઢીઓમાંથી ખાદ્યસામગ્રીના નમૂના (સેમ્પલ) લઈને તેને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. તહેવારો અને ઉપવાસના દિવસોમાં નાગરિકોના સ્વાસ્થ્ય અને આસ્થા સાથે ચેડાં કરતા વેપારીઓ સામે મનપા તંત્રએ લાલ આંખ કરી છે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારનું સઘન ચેકિંગ ચાલુ રાખવાની સ્પષ્ટ ચેતવણી આપી છે.

આ પણ વાંચો : Surat સિવિલમાં ફરી રેગિંગ વિવાદ, સર્જરી વિભાગમાંથી ડીનને મળી નનામી અરજી, હોસ્પિટલ તંત્ર દોડતું થયું!