આજે સમગ્ર ગુજરાતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ રહી છે. ગુજરાત પોલીસ રથયાત્રાને લઈને એલર્ટ થઈ ગઈ છે. ત્યારે રાજકોટમાં ગેરકાયદે હથિયારોની હેરાફેરી અને વેચાણ કરતી સિન્ડિકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પીસીબી દ્વારા આ સિન્ડિકેટ દ્વારા વેચવામાં આવતા ત્રણ ગેરકાયદે હથિયારો ઝડપી પાડવામાં આવ્યા છે.જ્યારે ત્રણ શખ્સોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પીસીબીએ ત્રણ આરોપીઓની ધરપકડ કરી
પીસીબીએ ઝડપેલા આરોપીઓમાં ધ્રુવ ઉર્ફે કનૈયો ગોસ્વામી,જયરાજ ઉર્ફે લાલો ખાચર અને શ્યામ પરમારને પકડીને તેમની સામે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં ગેરકાયદેસર હથિયારો ઘુસાડવામાં આવ્યા હોવાની ચોક્કસ બાતમીના આધારે PCBની ટીમે દરોડો પાડીને આ ત્રણેય શખ્સોને દબોચી લીધા હતા.તેમની પાસેથી 3 ગેરકાયદેસર ઘાતક હથિયારો કબજે કરવામાં આવ્યા છે.
