રાજકોટ શહેરમાં સામાકાઠા વિસ્તારમાં સંત કબીર રોડ પાસે કનકનગરમાં રહેતા અને કિના સિલ્વર નામે ચાંદી કામની પેઢી ચલાવતા દિપકભાઈ હરીભાઈ મંડલી નામના વેપારી સાથે યુપીના ગોરખપુરના મુકેશ જયસ્વાલ નામના શખસે રૂ.17.29 લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદ કરી હતી. જેને પગલે થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ કરતા આરોપીએ આગ્રાના બે વેપારી સાથે છેતરપિંડી આચર્યાનું અને કોતવાલ પોલીસે આરોપીને પકડી લીધાનું બહાર આવ્યું હતું.
પેઢીનું કાર્ડ મંગાવી સીએ મારફતે તપાસ કરાવી
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કનકનગરમાં રહેતા ચાંદીના વેપારી દિપકભાઈ મંડલીને ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે ક્રિષ્ના જવેલર્સ નામની પેઢીમાંથી છ માસ પુર્વે મુકેશ અગવાલ નામે ફોન આવ્યો હતો અને ચાંદીની પાયલ બનાવી આપવાની વાત કરી હતી. બાદમાં તેને હાલમાં કામ હોવાનું કહી ફોન કર્યો હતો.જેમાં તેને પેમેન્ટના બદલામાં ચાંદી આપવાની વાત કરી હતી. બાદમાં પેઢીનું કાર્ડ મંગાવી સીએ મારફતે તપાસ કરાવી હતી કે પેઢી સાચી છે કે કેમ? બાદમાં તા.૨૨-૧૨ના રોજ કુરિયરથી માલ મોકલાવ્યો હતો. જેમાં વેપારીએ માલ છોડાવી ચાંદી મોકલાવી આપ્યું હતું. જે અંગે મુકેશભાઈએ ફોન કરી વાત કરી હતી. દરમ્યાન વેપારી દિપકભાઈએ ચાંદી લઈને ચેક કરાવતા તેને કહ્યા મુજબ ટચ ઓછો આવતા તેણે મુકેશ જયસ્વાલને ફોન કર્યો હતો. પરંતુ ફોન સ્વીચ ઓફ આવતો હતો.
