રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી અને કૌટુંબિક સંબંધોને કલંકિત કરતી એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના શાંત ગણાતા વિમલનગર વિસ્તારમાં મોડી રાત્રે એક પારિવારિક ઝઘડાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું કે પત્નીના મોહ અને ગુસ્સામાં અંધ બનેલા જમાઈએ ખુની ખેલ ખેલ્યો હતો. આ લોહિયાળ હુમલામાં પરિવારના મોભી એવા વૃદ્ધ નાનાજી સસરા પ્રવિણભાઈ શાહનું કરુણ મોત નીપજ્યું છે.


રિસામણે બેઠેલી પત્ની પર હુમલો, બચાવવા જતાં વૃદ્ધની હત્યા

પોલીસના પ્રાથમિક ઇન્વેસ્ટિગેશન અને પડોશીઓ પાસેથી મળતી વિગતો અનુસાર, મૂળ વેરાવળના રહેવાસી વિવેક ગોસ્વામીના લગ્ન થયા બાદ છેલ્લા ઘણા સમયથી પતિ-પત્ની વચ્ચે ઘરકંકાસ અને ભારે માથાકૂટ ચાલતી હતી. આ રોજિંદા વિવાદથી કંટાળીને વિવેકની પત્ની રાજકોટના વિમલનગરમાં આવેલા તેના મોસાળમાં એટલે કે નાના પ્રવિણભાઇ શાહના ઘરે રિસામણે આવીને બેસી ગઈ હતી. ગઈકાલે મોડી રાત્રે આરોપી વિવેક ગોસ્વામી આવેશમાં આવીને સાસરી પક્ષના ઘરે ધસી આવ્યો હતો. ઘરે આવતાની સાથે જ તેણે પત્ની સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી અને જોતજોતામાં પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે પત્ની પર જીવલેણ હુમલો કરી દીધો હતો.

પત્નીની સ્થિતિ અત્યંત નાજુક

પત્ની લોહીલુહાણ હાલતમાં ચીસો પાડવા લાગતા ઘરમાં હાજર તેના નાનાજી પ્રવિણભાઇ શાહ અને નાનીજી વચ્ચે પડ્યા હતા. રાક્ષસ બનેલા જમાઈ વિવેકે પોતાની પત્નીને બચાવવા આડા આવેલા વયોવૃદ્ધ નાનાજી પ્રવિણભાઈ શાહ પર હથિયારના ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઈજાઓ થવાના કારણે પ્રવિણભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે હત્યારાની પત્ની અને નાનીજીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં પત્નીની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યા છે.

 હત્યારો જમાઈ ફરાર

અડધી રાત્રે બનેલી આ ઘટનાને પગલે આસપાસના રહીશો જાગી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. રાજકોટ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક વિમલનગર ખાતે ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતક પ્રવિણભાઈના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ગ્રાઉન્ડ લેવલ પર કાયદાકીય તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Palanpur: બાલારામ બ્રિજ પર 9 વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત, 1 નું ઘટનાસ્થળે મોત


  • Follow us on: