બનાસકાંઠાના અમીરગઢ નેશનલ હાઇવે પર આજે કાળમુખો અકસ્માત સર્જાતા હડકંપ મચી ગયો છે. અમીરગઢ પાસે આવેલા બાલારામ બ્રિજ પરથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા એક ભારે વાહને કાબૂ ગુમાવતા તેની પાછળ અને આગળ આવી રહેલા 8 થી 9 નાના-મોટા વાહનો, જેમાં લક્ઝરી કાર અને ટ્રકો સામેલ છે, તે એકબીજા સાથે અત્યંત વેગથી અથડાયા હતા. આ વિચિત્ર અકસ્માતને પગલે હાઇવે પર કરુણ દ્રશ્યો સર્જાયા હતા અને વાહનોનો કુરચો બોલી ગયો હતો.


ઘટનાસ્થળે જ મોત અને બચાવ કામગીરી

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત એટલો જોરદાર હતો કે કારમાં સવાર મુસાફરો લોખંડના પતરાની વચમાં ફસાઈ ગયા હતા. આ હોનારતમાં એક અજાણ્યા વ્યક્તિનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓ થવાના કારણે તરફડિયા મારીને મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 4 થી 5 લોકોને નાની-મોટી અને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક ગ્રામજનો અને અન્ય વાહનચાલકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને કારના દરવાજા તોડી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

10 કિલોમીટર લાંબો ચક્કાજામ, પ્રવાસીઓ અટવાયા

બ્રિજની બિલકુલ વચ્ચે જ આ અકસ્માત થયો હોવાના કારણે હાઇવેનો એક આખો ટ્રેક સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો. વીકએન્ડ હોવાના કારણે હાઇવે પર વાહનોનો ભારે ધસારો હતો, જેના લીધે જોતજોતામાં અમીરગઢથી લઈને પાલનપુર તરફ જવાના માર્ગ પર અંદાજે 10 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. નાના બાળકો અને પરિવારો કલાકો સુધી હાઇવે પર અટવાઈ પડ્યા હતા.ઘટનાની ગંભીરતાને જોતાં અમીરગઢ પોલીસ સ્ટેશનનો કાફલો અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ની ઇમરજન્સી હાઇવે પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક ક્રેન અને હાઇડ્રોલિક મશીનો સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ મોકલી આપી, હાઇવે પરથી અકસ્માતગ્રસ્ત વાહનોને સાઇડમાં ખસેડી ટ્રાફિક હળવો કરવાની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. 

આ પણ વાંચો: Surat: સળંગ ત્રીજી વાર ગુજરાતમાં સુરત APMC પ્રથમ, 51 કરોડથી વધુની આવક સાથે દેશભરમાં ડંકો વાગ્યો

  • Follow us on: