સુરતમાં ખંડણી અને ધાકધમકી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત ગુનેગાર સાકિબ જરીવાલા આખરે પોલીસના સિકંજામાં આવી ગયો છે. પોલીસ પકડથી બચવા માટે આરોપી વિદેશ ભાગી છૂટ્યો હતો, પરંતુ સુરતની લાલગેટ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને લૂકઆઉટ નોટિસના આધારે તેને દિલ્હી એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
લાલગેટ અને રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે ખંડણીના ગુના
પોલીસ રેકોર્ડ મુજબ આરોપી સાકિબ જરીવાલા વિરુદ્ધ સુરતના લાલગેટ અને રાંદેર વિસ્તારમાં ખંડણી વસૂલવાના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગુના આચર્યા બાદ પોલીસ તેની ધરપકડ કરે તે પહેલા જ તે નાસી છૂટ્યો હતો અને ગુપ્ત રીતે દુબઈ પહોંચી ગયો હતો. પોલીસ સતત તેની શોધખોળ કરી રહી હતી અને તેની સામે કાનૂની શિકંજો કસવામાં આવી રહ્યો હતો.

