સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ગુનેગારો બેખોફ બન્યા હોય તેવો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડિંડોલીના રાજમોલ જેવા વ્યસ્ત અને જાણીતા લોકેશન પાસે મોડી રાત્રે એક યુવકની ઘાતકી હત્યા થતાં સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે. પોલીસ કંટ્રોલ રૂમમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર, મૃતક યુવકની ઓળખ રાજ અજય દુબે તરીકે થઈ છે. રાજ દુબે રાત્રિના સમયે રાજમોલ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અંધારાનો લાભ લઈને અગાઉથી જ ઓથ નઈને બેઠેલા અજાણ્યા હુમલાખોરોએ તેના પર અચાનક હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ રાજ પર તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે ગંભીર ઇજાઓ થતાં રાજનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અને હુમલાખોરો અંધારામાં ફરાર થઈ ગયા હતા.
લોન રિકવરી કનેક્શન અને આર્થિક વિવાદ
સ્થાનિક લોકોએ લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ જોતાં જ ડિંડોલી પોલીસને જાણ કરી હતી, જેને પગલે ડિંડોલી પોલીસ સ્ટેશનનો મોટો કાફલો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક રાજ દુબે અલગ-અલગ ફાઇનાન્સ કંપનીઓ અને ખાનગી લોન આપનારાઓ માટે 'લોન રિકવરી એજન્ટ' તરીકે કામ કરતો હતો. આ વ્યવસાયમાં ઘણી વખત લોન ન ભરનારા ગ્રાહકો અથવા ડિફોલ્ટરો સાથે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થતું હોય છે. તેથી પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે, કોઈ લોન ડિફોલ્ટર સાથે થયેલા વિવાદ અથવા કોઈ મોટી નાણાકીય લેણદેણની અદાવત રાખીને જ આ સોપારી આપીને કે આયોજનબદ્ધ રીતે હત્યાને અંજામ આપવામાં આવ્યો છે.
