પુણાગામ વિસ્તારમાં કમર્શિયલ મિલકતમાં રોકાણ કરીને પોતાની દુકાન શરૂ કરવાનું સપનું જોતા એક પ્રતિષ્ઠિત પરિવાર સાથે કરોડો રૂપિયાની ઠગાઈનો મામલો સામે આવ્યા બાદ સુરત પોલીસ કમિશનરની સૂચનાથી ઇકો સેલ સક્રિય બન્યું હતું. પોલીસે આ મામલે સઘન કાનૂની પગલાં ભરીને મુખ્ય સૂત્રધાર પિન્કેશને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.


સમગ્ર કૌભાંડ અને કરોડોની લેવડદેવડ

મળતી માહિતી મુજબ, આરોપી પિન્કેશે પુણાગામ સ્થિત 'ક્રીએશન પ્લાઝા' માં દુકાનો વેચવાની લોભામણી સ્કીમ બતાવીને ફરિયાદી અને તેમના પરિવારને વિશ્વાસમાં લીધા હતા. મિલકત ગમતી હોવાથી ફરિયાદી પરિવારે અલગ-અલગ બેંકિંગ ટ્રાન્ઝેક્શન અને રોકડા મળીને કુલ રૂપિયા ૧.૭૦ કરોડ જેટલી મોટી રકમ આરોપી પિન્કેશને ચૂકવી આપી હતી. કાનૂની કાગળો મુજબ કૌભાંડની ફાઇનલ રકમ 1.61 કરોડ રૂપિયા આસપાસ આંકવામાં આવી છે.

દસ્તાવેજના નામે વાયદા અને ફરાર

જ્યારે ફરિયાદી પરિવારે દુકાનોના પાકા વેચાણ દસ્તાવેજ કરી આપવા માટે પિન્કેશ પર દબાણ લાવવાનું શરૂ કર્યું, ત્યારે તે સતત વાયદાઓ કરવા લાગ્યો હતો. અંતે દસ્તાવેજ ન કરી આપીને ફરિયાદીના કરોડો રૂપિયા ઓળવી જઈ આરોપી રાતોરાત પોતાનું ઘર અને ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયો હતો. ભોગ બનનાર પરિવારે આ અંગે સુરત આર્થિક ગુના નિવારણ શાખામાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.ઇકો સેલના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ પોલીસે આરોપીના સંભવિત આશ્રયસ્થાનો અને બેંક ખાતાઓ ટ્રેસ કર્યા હતા અને આખરે પિન્કેશને દબોચી લીધો છે. પોલીસે આરોપી પાસેથી છેતરપિંડી કરેલી રકમ ક્યાં રોકી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ ભાગીદાર સામેલ છે કે કેમ, તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:  Rajkot: વિમલનગરમાં જમાઈએ રિસામણે બેઠેલી પત્નીના ઘરે જઈ નાનાજી સસરાની કરી હત્યા


  • Follow us on: