સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલ માનસરોવર સર્કલ પાસેના સતનામ જ્વેલર્સમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.ગ્રાહકના સ્વાંગમાં આવેલી સાસુ અને વહુની જોડીએ વેપારીની નજર ચૂકવીને આશરે બે લાખ રૂપિયાની કિંમતના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. શહેરમાં ધોળા દિવસે બનેલી આ ઘટનાથી વેપારી આલમમાં ચકચાર મચી જવા પામી છે.
વાતોમાં ભોળવીને ચાંદીની 11 જોડી પાયલ સેરવી લીધી
મળતી માહિતી મુજબ આશરે 40 થી 45 વર્ષની એક મહિલા તેની સાસુ સાથે સતનામ જ્વેલર્સમાં દાગીના ખરીદવાના બહાને આવી હતી.દુકાનદારને વિવિધ દાગીના બતાવવાનું કહીને બંને મહિલાઓએ તેને વાતોમાં ભોળવી રાખ્યો હતો.આ દરમિયાન વહુએ વેપારીની નજર ચૂકવીને કાઉન્ટર પરથી 900 ગ્રામ વજન ધરાવતી ચાંદીની 11 જોડી પાયલ ચાલાકીપૂર્વક ઉપાડીને પોતાની સાસુને આપી દીધી હતી.સાસુએ ત્વરિત આ ઝાંઝરીઓ પોતાના ચણિયામાં છુપાવી દીધી હતી.વેપારીને સહેજ પણ આશંકા ન જાય તે રીતે આ બંને મહિલાઓ ચોરી કરીને રફુચક્કર થઈ ગઈ હતી.
