સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં એક રૂંવાડા ઉભા કરી દે તેવી નરાધમતાની ઘટના પ્રકાશમાં આવી છે, જેણે પડોશ અને વૃદ્ધો પ્રત્યેના વિશ્વાસ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ પંથકમાં રહેતા એક શ્રમિક પરિવારની ૬ વર્ષની દીકરી પોતાના ઘરના આંગણામાં અન્ય બાળકો સાથે રમી રહી હતી. આ દરમિયાન આ જ વિસ્તારમાં રહેતો 80 વર્ષનો મન્સૂરી મુસા નામનો વૃદ્ધ ત્યાં આવ્યો હતો. વિકૃત માનસિકતા ધરાવતા આ વૃદ્ધે બાળકીની માસૂમિયતનો ફાયદો ઉઠાવી, તેને લાલચ આપી અથવા ફોસલાવીને પોતાના ઘરમાં બોલાવી લીધી હતી. ઘરમાં એકલતાનો લાભ લઈને આ હવસખોર વૃદ્ધે બાળકી સાથે અત્યંત ગંદી હરકતો કરી દુષ્કર્મ આચર્યું હતું.

દાદીની સતર્કતાથી ફૂટ્યો ભાંડો

નરાધમના સકંજામાંથી છૂટીને બાળકી જ્યારે રડતી રડતી પોતાના ઘરે પહોંચી ત્યારે તેની શારીરિક અને માનસિક સ્થિતિ જોઈને પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. બાળકીની દાદીએ તેને આશ્વાસન આપીને પૂછપરછ કરતા, બાળકીએ કાલીઘેલી ભાષામાં મન્સૂરી મુસાએ કરેલી તમામ ગંદી કરતૂતો અને અત્યાચારની હકીકત જણાવી દીધી હતી. માસૂમ પૌત્રીની વાત સાંભળી દાદી અને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારે સમય ગુમાવ્યા વિના તુરંત જ સલાબતપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને નરાધમ મન્સૂરી મુસા વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

પોલીસની તાત્કાલિક એક્શન અને કાનૂની કાર્યવાહી

6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટનાની સંવેદનશીલતાને જોતાં સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે તુરંત ઘટનાસ્થળે અને પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. પોલીસે ભોગ બનનાર બાળકીને તબીબી પરીક્ષણ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. બીજી તરફ, સલાબતપુરા પોલીસે કલંકિત ઘટનાના આરોપી 80 વર્ષના મન્સૂરી મુસા વિરુદ્ધ કડક કલમો અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી લીધી છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં આ નરાધમ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેને ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા વહેલામાં વહેલી તકે ફાંસી અથવા આજીવન કેદની કડક સજા થાય તેવી માંગ ઉઠી છે.

આ પણ વાંચો: Ahmedabad: રથયાત્રા પૂર્વે LCB ઝોન-5 એ તીક્ષ્ણ છરા અને ઘાતક હથિયારો સાથે 6 અસામાજિક તત્વોની ધરપકડ