સુરત જેલમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ ભવિષ્યમાં કોઈ મોટી ગુનાહિત પ્રવૃત્તિ ન આકાર લે તે હેતુથી જેલ પ્રશાસન દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.ચર્ચિત સતીશ મરાઠે હત્યા કેસના મુખ્ય આરોપી રાહુલ મંડલ અને તેની ગેંગના અન્ય સભ્યોને સુરત જેલમાંથી રાજ્યની અન્ય જેલોમાં ટ્રાન્સફર કરવા માટે જેલરે સ્પેશિયલ કોર્ટ સમક્ષ અરજી કરી છે.જેલમાં શિસ્ત અને અનુશાસન જળવાઈ રહે તે માટે આ તજવીજ હાથ ધરવામાં આવી છે.
સતીશ મરાઠેની હત્યાનું કાવતરું જેલના સળિયા પાછળ ઘડાયું
જેલ ઓથોરિટીના જણાવ્યા અનુસાર,સતીશ મરાઠેની હત્યાનું આખું કાવતરું જેલના સળિયા પાછળ જ ઘડાયું હતું.હત્યાનો ગુનો આચરનારા શૂટરો અને આ સમગ્ર હત્યાકાંડનું ષડયંત્ર રચનારા મુખ્ય સૂત્રધારો એક જ જેલમાં સાથે રહે તે અત્યંત જોખમી સાબિત થઈ શકે તેમ છે.આ કેદીઓ સાથે મળીને જેલની અંદરથી જ અન્ય કોઈ મોટા ગુનાનું કાવતરું ન રચે અને જેલની સુરક્ષા સામે કોઈ નવો પડકાર ઊભો ન થાય તે માટે તેમને તાત્કાલિક અસરથી અલગ અલગ જેલમાં ખસેડવા જરૂરી બન્યા છે. આ સિવાય જેલ પ્રશાસને અન્ય કેદીઓની સુરક્ષા તેમજ જેલ પરિસરમાં શાંતિ જાળવવાની બાબતને પણ ધ્યાનમાં લીધી છે.
