સુરતના રાંદેર વિસ્તારમાં એક અત્યંત કરુણ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષીય માસૂમ કિશોરે માતાના સામાન્ય ઠપકાથી મન પર માઠું લગાડીને આપઘાત કરી લીધો છે. ઘરમાં ભાઈ-બહેન બંને સાથે મળીને મસ્તી કરી રહ્યા હતા, તે દરમિયાન માતાએ તેમને મસ્તી કરવાની ના પાડી ઠપકો આપ્યો હતો. માતાની આ વાતે કિશોરને ભારે આઘાત લાગતા તેણે ક્ષણિક આવેશમાં આવીને આત્યંતિક પગલું ભરી લીધું હતું.
દાદરની ગ્રીલ પર ગળે ફાંસો ખાધો
માતાના ઠપકા બાદ આવેશમાં આવેલા કિશોરે ઘરના દાદર (સીડી)ની ગ્રીલ સાથે ગળે ફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. થોડી વાર બાદ જ્યારે પરિવારજનોની નજર બાળક પર પડી ત્યારે તેને ફાંસો ખાધેલી હાલતમાં જોઈને પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. માસૂમ દીકરાના અચાનક આ રીતે વિદાય લેવાથી સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
