સુરત શહેરના પૂણા કેનાલ રોડ પર આવેલી શિવનગર સોસાયટીના મકાન નંબર 227માંથી માતા અને પુત્રીના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતકોની ઓળખ 42 વર્ષીય જાશા શ્રીવાસ્તવ અને તેમની દીકરી મુસ્કાન શ્રીવાસ્તવ તરીકે થઈ છે. ઘટનાસ્થળેથી બંને મૃતકોના મોબાઈલ ફોન ગાયબ મળી આવ્યા છે, જેના કારણે આ બનાવ હત્યા છે કે આત્મહત્યા તે અંગે મોટું રહસ્ય ઘેરાયું છે.
પરિવારે લગાવ્યો હત્યાનો આક્ષેપ, મૃતદેહોને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા
બનાવ અંગે જાણ થતાં જ મૃતકના પરિવારજનોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી અને તેમણે માતા-પુત્રીની આયોજનબદ્ધ રીતે હત્યા કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ઘટના અંગે માહિતી મળતા જ પૂણા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ તપાસ હાથ ધરીને બંને મૃતદેહોને કબજે લઈ પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યા છે. પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું અને ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.
