ભાવનગર જિલ્લાના ખરકડી ગામે કથિત રીતે ડુપ્લીકેટ કે ઝેરી દારૂ પીવાના કારણે ગંભીર ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 2 વ્યક્તિના મોત નીપજ્યું છે, જ્યારે 17 વ્યક્તિઓને સારવાર માટે ખસેડાયા હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. તપાસમાં બહાર આવ્યું કે 28 બોક્સ દારુ આવેલો હતો. પોલીસે તપાસ કરીને 20 બોક્સ દારુ કબજે કર્યો છે. 

ઝેરી દારૂ પીધા બાદ ખરકડી ગામના 19 લોકોની તબિયત લથડી 

મળતી વિગતો અનુસાર, કથિત ઝેરી દારૂ પીધા બાદ ખરકડી ગામના 19 લોકોની તબિયત લથડી હતી. હાલમાં તમામ 19 દર્દીઓને સારવાર અર્થે ભાવનગર શહેરની સરકારી સિવિલ હોસ્પિટલ તેમજ વિવિધ ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. દર્દીઓમાંથી કેટલાકની હાલત ગંભીર જણાતાં તેઓને તાત્કાલિક અસરથી સ્પેશિયલ મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.

ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂથી વધુ 1નું મોત

ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂ પીવાના મામલે ઇન્દોરના રહેવાસી નરેન્દ્રસિંહ યાદવ નામના વધુ 1 વ્યક્તિનું મોત નીપજતાં મૃત્યુઆંક વધીને 2 થયો છે. પરિસ્થિતિનો તાગ મેળવવા જિલ્લા કલેક્ટર સિવિલ અને ખાનગી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે સિવિલમાં 8 અને ખાનગી હોસ્પિટલોમાં 9 મળી કુલ 17 દર્દીઓ સારવાર હેઠળ છે અને તમામની સ્થિતિ સ્થિર (નોર્મલ) છે. આ સાથે કલેક્ટરે રવિવાર અને સોમવારે આ દારૂનું સેવન કરનાર તમામ લોકોને તાત્કાલિક હેલ્થ ચેકઅપ કરાવવા અપીલ કરી છે.

નશાબંધી વિભાગ અને SDM દ્વારા તપાસ શરુ 

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તંત્ર ત્વરિત એક્શન મોડમાં આવી ગયું છે. નશાબંધી વિભાગ અને SDM (સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ) ની ટીમોએ સમગ્ર મામલે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી દીધી છે. નશાબંધી વિભાગના ઉચ્ચ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા, જ્યારે SDM ની ટીમે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા પીડિતોની રૂબરૂ મુલાકાત લઈને તેમનાં નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે. સમગ્ર દુર્ઘટનાનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરવા માટે તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરી દેવાયો છે.

https://twitter.com/sandeshnews/status/2089908161193140542   


પોલીસ ભરતીમાં સિલેક્શનની પાર્ટી આપી હતી

ભાવનગરના ખરકડી ગામે પોલીસ ભરતીમાં સિલેક્ટ થયેલા વિશ્વરાજસિંહ ગોહિલે મિત્રોને પાર્ટી આપી હતી. પાર્ટીમાં રોયલ સ્ટેગ દારૂ પીધા બાદ ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત નીપજ્યું છે, જ્યારે વિશ્વરાજસિંહ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દારૂમાં મિથેનોલ કે ઇથેનોલનું પ્રમાણ વધુ હોવાથી આ ઘટના બની હોવાનું તબીબોએ જણાવ્યું છે. 

ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂ પીવાથી મોત બાદ SMC એક્શનમાં

ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂના સેવનથી 2 લોકોના મોત નીપજતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી SMCના SP મયૂર ચાવડા મોડી રાત્રે 1:30 વાગ્યે ભાવનગર DSP કચેરીએ પહોંચ્યા હતા અને સ્થાનિક SP પાસેથી સમગ્ર બનાવની વિગતવાર માહિતી મેળવી હતી. આ ઘટનામાં ખરકડી ગામના 2 યુવક ના મોત થયા છે, જ્યારે અન્ય 14 જેટલા લોકોને અસર થતાં સારવાર અર્થે જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

લઠ્ઠાકાંડમાં તપાસ તેજ

ભાવનગરમાં કથિત લઠ્ઠાકાંડને પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દિલ્હીથી પરત આવીને મોડી રાત્રે જ એરપોર્ટ પર DGP સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ઈમરજન્સી બેઠક યોજી હતી. તપાસ માટે SMCના SP મયૂર ચાવડાને તાત્કાલિક ભાવનગર મોકલવામાં આવ્યા છે. દારૂમાં મિથેનોલ ભેળવવામાં આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. કુલ 28 બોક્સ દારૂ આવ્યો હોવાની માહિતી મળતાં પોલીસે રાત્રિ ચેકિંગ દરમિયાન 20 બોક્સ જપ્ત કરીને આગળની સઘન કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો  :   Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન