વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી કિન્ના પાર્ક સોસાયટીમાં ગણેશ ઉત્સવ દરમિયાન અસામાજિક તત્વો દ્વારા ગણેશ પંડાલમાં તોડફોડ કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગણેશ મંડપમાં તોડફોડ કરવા સાથે જ અસામાજિક તત્વોએ ત્યાં પાર્ક કરેલી એક કારને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનાને પગલે ગણેશ મંડળના સભ્યો અને સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને ધાર્મિક લાગણી દુભાઈ હોવા અંગે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.

તોડફોડના CCTV ફૂટેજ સામે આવ્યા

બનાવની વિગતો અનુસાર, વાઘોડિયા રોડ સ્થિત કિન્ના પાર્ક સોસાયટીમાં સ્થાપિત ગણેશ મંડપમાં અચાનક અજાણ્યા ઈસમોએ તોડફોડ આચરી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કૅમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતાં 3 જેટલા ઈસમો પંડાલમાં તોડફોડ કરતા અને વાહનને નુકસાન પહોંચાડતા સ્પષ્ટ નજરે પડે છે. ગણેશ મંડળના સભ્યોએ ઘટનાની જાણ થતાં જ સ્થળ પર એકઠા થઈને અસામાજિક તત્વો સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ગણેશ મંડળ દ્વારા પોલીસમાં રજૂઆત

આ ઘટના અંગે ગણેશ મંડળના સભ્યો દ્વારા બાપોદ પોલીસ મથકે પહોંચીને લેખિત રજૂઆત સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાવવા અને મિલકતને નુકસાન પહોંચાડવા બદલ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાપોદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કૅમેરામાં દેખાતા ત્રણેય શંકાસ્પદ ઈસમોની ઓળખ છતી કરી તેમને વહેલી તકે ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Dwarkaમાં વરસાદના અભાવે 30 વીઘા મગફળી પર ફરી વળ્યું ટ્રેક્ટર! ખેડૂતે રોઈ-રોઈને સરકાર સમક્ષ માંગી તાત્કાલિક સહાય