દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન લાંબા સમયથી વરસાદ ખેંચાતાં ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે વરસાદના અભાવે મગફળીનો ઉભો પાક સંપૂર્ણપણે સુકાઈ જતાં લાચાર બનેલા ખેડૂતે પોતાના 30 વીઘા ખેતરમાં વાવેલી મગફળીના પાક પર ટ્રેક્ટર ફેરવીને તેને જમીનદોસ્ત કરી દેવાની ફરજ પડી છે. છેલ્લા બે મહિનાથી વરસાદ ન વરસતાં ખેતીનો મહામૂલો પાક નજર સામે નાશ પામતાં સમગ્ર પંથકના અન્નદાતાઓમાં ભારે આક્રોશ અને ઘેરી ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.

30 વીઘામાં મગફળીનો પાક નિષ્ફળ

બનાવની પ્રાપ્ય વિગતો અનુસાર, પાનેલી ગામના રેણુકાવાડી વિસ્તારમાં રહેતા ખેડૂત દેવશીભાઈએ ચાલુ સિઝનમાં ભારે આર્થિક ખર્ચ કરીને 30 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું. જોકે, છેલ્લા બે મહિનાથી મેઘરાજાએ ખેંચાણ કરતાં ઉભો પાક સુકાવા લાગ્યો હતો અને પાક બચવાની કોઈ આશા ન રહેતાં આખરે હજારો રૂપિયાનું નુકસાન વેઠીને પાક પર ટ્રેક્ટર ફેરવી દેવાયું હતું. ખેડૂત દેવશીભાઈએ પોતાના ખેતરમાં જમીનદોસ્ત થતા પાકનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે, જેમાં તેમણે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે સાતમ-આઠમના તહેવારો પણ મીઠાઈ વગર અને આર્થિક તંગી વચ્ચે વિતાવવા પડ્યા હતા.

દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ

વરસાદના અભાવે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે ખેડૂતો દ્વારા દ્વારકા જિલ્લાને તાત્કાલિક અસરથી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની જોરદાર માંગણી કરવામાં આવી છે. ખેડૂતોએ "ભગવાન તો રૂઠ્યા છે, હવે સરકાર અમારી વ્હારે આવે" તેવી આર્તહાદ સાથે સરકાર પાસે તાત્કાલિક ધોરણે પાક નુકસાનીનો સર્વે કરાવી વિશેષ આર્થિક રાહત પેકેજ આપવા માટે હાકલ કરી છે, જેથી કરીને જગતનો તાત આવનારો દિવાળીનો તહેવાર પોતાના પરિવાર સાથે ખુશીથી ઉજવી શકે.

આ પણ વાંચો : Suratમાં ‘શેરબજાર ફ્રોડ’નો મોટો શિકાર! 200 ટકા રિટર્નની લાલચમાં એન્જિનિયરે રૂ.37.15 લાખ ગુમાવ્યા