માતાપિતાએ પોતાનાં બાળકોને ફક્ત સમયસર અને દરરોજ શાળાએ મોકલવાની જ જવાબદારી નિભાવવાની છે, કારણ કે, બાળકોના અભ્યાસની ચિંતા આપણી સરકારે કરીને એ માટેની તમામ વ્યવસ્થા કરી છે.-શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર
આજથી ૩ દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું
ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલય અને રાજ્ય સરકારના સહકારથી ચાલતા સર્વ શિક્ષા અભિયાન મિશન દ્વારા સમગ્ર દેશમાં શિક્ષણ ક્ષેત્રે ખુબ જ વિકાસ થયો છે. જેમાં શાળામાં મફત અને ફરજીયાત શિક્ષણ માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ મિશનના મુખ્ય ૩ ધ્યેયો છે, નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તાસભર શિક્ષણ. આ તમામ ધ્યેયોને સિદ્ધ કરવા માટે આ વર્ષે પણ સમગ્ર ગુજરાતમાં આજથી ૩ દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
શાળાની સ્થાપના વર્ષ ૧૯૫૫ માં થઇ હતી
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલ કૃષિ શાળા, સુખસર ખાતે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુખસર કૃષિ શાળાની વાત કરીએ તો, આ શાળાની સ્થાપના વર્ષ ૧૯૫૫ માં થઇ હતી. ૧૭ શિક્ષકો સાથે અન્ય તમામ પ્રાથમિક તેમજ ભૌતિક સુવિધાઓથી સજ્જ આ શાળામાં હાલ ૩૨૫ કુમાર અને ૨૯૭ કન્યાઓ એમ કુલ ૬૨૨ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આજે શાળા પ્રવેશોત્સવ નિમિતે બાલવાટિકામાં ૬ કુમાર અને ૧૧ કન્યાઓ એમ કુલ ૧૭ પ્રવેશપાત્ર બાળકો તેમજ ધોરણ – ૧ માં ૧૬ કુમાર અને ૧૯ કન્યાઓ એમ મળી કુલ ૩૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
કન્યા કેળવણીની શરૂઆત કરી, કન્યાઓને ભણાવવા માટેનો સંકલ્પ લીધો
શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરએ પ્રાસંગિક ઉદબોધન આપતા કહ્યું હતું કે, માતાપિતાએ પોતાનાં બાળકોને ફક્ત સમયસર અને દરરોજ શાળાએ મોકલવાની જ જવાબદારી નિભાવવાની છે, કારણ કે, બાળકોના અભ્યાસની ચિંતા આપણી સરકારે કરીને એ માટેની તમામ વ્યવસ્થા કરી છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જે-તે સમયે આદિવાસી વિસ્તારોમાં વિદ્યાર્થીઓમાં અડધા અભ્યાસે થતો ડ્રોપ આઉટ રેસીયો તેમજ કન્યાઓનું અધવચ્ચે ભણતર છોડી દેવું એ બાબતને ગંભીરતાથી લઈને શિક્ષણ વ્યવસ્થામાં સુધારો લાવવાના પ્રયાસો કર્યા હતા. તેમણે કન્યા કેળવણીની શરૂઆત કરી, કન્યાઓને ભણાવવા માટેનો સંકલ્પ લીધો.
શાળા-શિક્ષકોની સાથે તમામ સુવિધાઓ આપી રહી છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે કોઇપણ માતાપિતા પણ પોતાના બાળકોને અને તેમાંય ખાસ કરીને દીકરીઓને ભણાવી શકે અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે એ માટે સરકાર દ્વારા તમામ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે. તમામ બાળકો સ્કીલ બેઝ એજ્યુકેશન તરફ વળે તે આજના ટેકનોલોજીના સમયમાં ખુબ જ જરૂરી છે. સરકારે આપણા બાળકોના અભ્યાસની તમામ ચિંતા કરી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે શાળા-શિક્ષકોની સાથે તમામ સુવિધાઓ આપી રહી છે.
કુબેરભાઈ ડિંડોરએ એસ.એમ.સી. ને સક્રિય રહી કામગીરી કરવા સુચના આપી
આ કાર્યક્રમ દરમ્યાન ગણિત-વિજ્ઞાનમાં, CET પરિક્ષા તેમજ NMMS પરિક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોર તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતે શાળા પટાંગણમાં શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ એસ.એમ.સી. સાથે બેઠક યોજી હતી. જે દરમ્યાન શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરએ એસ.એમ.સી. ને સક્રિય રહી કામગીરી કરવા સુચના આપી હતી.
આંગણવાડી બહેનો તેમજ નાનકડાં ભૂલકાઓ પણ ઉપસ્થિત રહ્યા
શાળા પ્રવેશોત્સવના આ પ્રસંગે ભાજપા પૂર્વ અધ્યક્ષ શંકરભાઈ અમલીયાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આરત બારિયા, ફોરેસ્ટ વિભાગની ટીમ, સી.આર.સી., બી.આર.સી., શાળાના આચાર્ય, શાળા સ્ટાફગણ, એસ.એમ.સી.ના સભ્યો, તાલુકા સભ્ય, સરપંચ, વાલીઓ, ગામના આગેવાનો, આંગણવાડી બહેનો તેમજ નાનકડાં ભૂલકાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.













