રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે દેશની સરહદો પર ખડેપગે રાત દિવસ ફરજ બજાવતા વીર જવાનો પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સ્નેહની લાગણી વ્યક્ત કરવા માટે આંગણવાડીની બહેનો દ્વારા રક્ષાના પ્રતિક રૂપે 4.50 લાખ રાખડીઓ જવાનોને મોકલવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં રક્ષાસૂત્ર કળશ સરહદી દળોના અધિકારીઓને પ્રતિકરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો.

આંગણવાડી બહેનોએ આ રક્ષાસુત્ર બનાવ્યું

સરહદના જવાનો પોતાના પરિવારથી દૂર રહીને માતૃભૂમિની સુરક્ષા માટે સમર્પિત છે. તેમની સદાય રક્ષાની ભાવના સાથે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડો. મનિષાબેન વકીલના માર્ગદર્શનમાં આંગણવાડી બહેનોએ રક્ષાબંધન પર્વ નિમિત્તે આ રાખડીઓ મોકલાવી છે. દેશની સીમાઓ સાચવતા અને ઘર પરીવારથી દૂર રહેતા સેનાના જવાનોની રક્ષા માટે આંગણવાડી બહેનોએ આ રક્ષાસુત્ર બનાવ્યું છે.

એક રાખી દેશ કે જવાનો કે નામ

ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આ સૈનિકો સરહદ પર રહીને પણ મનાવી શકે અને માતાઓ બહેનો તેમની સાથે જોડાયેલી છે એવો અહેસાસ તેમને આપવાનો સરાહનીય પ્રયોગ “એક રાખી દેશ કે જવાનો કે નામ” અંતર્ગત ગુજરાત છેલ્લા ત્રણ વર્ષથી કરે છે. ગુજરાતની બહેનોએ વીર જવાનોની રક્ષાનું કવચ રાખડીઓ દ્વારા પ્રદાન કરીને ભાઈ-બહેનના પ્રેમના તહેવારને રાષ્ટ્રભક્તિ મય બનાવ્યો છે. આ રક્ષાસુત્ર કળશનો આર્મી, બી.એસ.એફ., સી.આર.પી.એફ. અને એન.ડી.આર.એફ.ના ગાંધીનગર સ્થિત જવાનોએ સ્વીકાર કર્યો હતો

આ પણ વાંચોઃ Surat News: ઉત્રાણ સ્ટેશન પાસે અમદાવાદ જઈ રહેલી વંદેભારત ટ્રેન પર પથ્થર ફેંકાયો