ગુજરાતમાં પશુપાલકોના હિત અને પશુઓના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિધાનસભા ગૃહમાં ‘ગુજરાત પશુધન આહાર, મરઘા ચણ અને ખનિજ મિશ્રણ વિધેયક’ રજૂ કરવામાં આવ્યું છે. મંત્રી જીતુ વાઘાણી દ્વારા ગૃહમાં રજૂ કરવામાં આવેલા આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના પશુઓને શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને પોષક આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. હવેથી પશુ આહારમાં ભેળસેળ કે મિસ બ્રાન્ડિંગ કરનારા તત્વો સામે કાનૂની શિકંજો કસાશે.

7 સભ્યોની નિષ્ણાત કમિટીની રચના

નવા કાયદાના અમલીકરણ અને ગુણવત્તાના ધોરણો નક્કી કરવા માટે પશુપાલન વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી (ACS) ની અધ્યક્ષતામાં 7 સભ્યોની એક ઉચ્ચ સ્તરીય નિષ્ણાત કમિટીની રચના કરવામાં આવશે. આ ઉપરાંત, પશુ આહારનું વેચાણ કે ઉત્પાદન કરવા માટે પ્રાદેશિક સંયુક્ત પશુપાલન અધિકારી લાયસન્સ આપવા માટે માન્ય સત્તાધિકારી તરીકે ગણાશે.

ભ્રામક જાહેરાત અને મિસ બ્રાન્ડિંગ પર દંડ

પશુ આહાર વેચતી કંપનીઓ કે વેપારીઓ દ્વારા કરવામાં આવતી ભ્રામક જાહેરાતો અને મિસ બ્રાન્ડિંગ સામે કડક જોગવાઈઓ કરવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન કરનારને રૂ. 5,00,000 નો દંડ કરવામાં આવશે. આ સાથે જ જવાબદાર ઉત્પાદક કે વેપારીનું લાયસન્સ 3 વર્ષ સુધી સસ્પેન્ડ કરવાની પણ કાયદામાં સ્પષ્ટ જોગવાઈ રાખવામાં આવી છે.

પશુના મોત પર 7 વર્ષ સુધીની જેલ અને 10 લાખ દંડ

આ કાયદામાં પશુઓના જીવની સુરક્ષા માટે અત્યંત સખત સજાની જોગવાઈઓ છે. જો ભેળસેળયુક્ત કે ઝેરી આહાર ખાવાથી કોઈ પશુનું મોત થશે, તો દોષિત સામે કડક પગલાં ભરીને 7 વર્ષ સુધીની કેદની સજા અને રૂ. 10,00,000 સુધીનો ભારે દંડ ફટકારવામાં આવશે.


આ પણ વાંચો: Gujarat Assembly session Live: વંદે માતરમ વિવાદ પર તુષાર ચૌધરીનું નિવેદન, ઇમરાન ખેડાવાલાએ દિલગીરી વ્યક્ત કરી