ગુજકોમાસોલની 65મી વાર્ષિક સાધારણ સભા ઉત્સાહભેર યોજાઈ હતી.આ સભામાં સંસ્થાની ઉત્કૃષ્ટ નાણાકીય કામગીરી રજૂ કરવામાં આવી હતી.ગુજકોમાસોલે વર્ષ 2025-26 દરમિયાન રૂ.11479 કરોડનું ઐતિહાસિક ટર્નઓવર નોંધાવ્યું છે.સંસ્થાની આ અભૂતપૂર્વ સફળતાને પગલે ચાલુ વર્ષે ખેડૂતોને 20 ટકા જેટલું માતબર ડિવિડન્ડ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ સભા દરમિયાન ચેરમેન દિલીપ સંઘાણીએ ટેકાના ભાવે ખરીદી અંગે એક મહત્વનું નિવેદન આપ્યું હતું. 

સંસ્થા ખેડૂતોને ડિવિડન્ડ રૂપે વળતર આપે છે

ટેકાના ભાવે જણસની ખરીદી અંગે વાત કરતાં તેમણે સ્પષ્ટ કર્યું કે,ગુજકોમાસોલ દ્વારા ખરીદી કરવામાં આવે ત્યારે જ ખેડૂતોને સીધો ફાયદો થાય છે,કારણ કે તેની આવકમાંથી જ સંસ્થા ખેડૂતોને ડિવિડન્ડ રૂપે વળતર આપે છે.ભૂતકાળમાં ખરીદી ન આપવાના રાજકીય નિર્ણયો થયા હતા,પરંતુ જો માત્ર પુરવઠા નિગમ ખરીદી કરે તો ખેડૂતોને ડિવિડન્ડનો લાભ મળતો નથી. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે તેઓ ચૂંટાઈને આવ્યા ત્યારે સંસ્થાની ઓફિસ માત્ર 600 વારની હતી.પરંતુ ખેડૂતની ઓફિસ વીઘામાં હોવી જોઈએ તેવા વિચાર સાથે ગાંધીનગરમાં 5 વીઘા વિસ્તારમાં ભવ્ય ગુજકોમાસોલ ભવનનું નિર્માણ કરાયું છે.તેમણે ઉમેર્યું કે, કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે પણ સહકારી પ્રવૃત્તિના ઉત્કૃષ્ટ મોડેલ તરીકે ગુજકોમાસોલની મુલાકાત લેવા ભલામણ કરી છે.

ગુજકોમાસોલ કોર્પોરેટ જગત જેવું મોડેલ ધરાવે છે

ગુજકોમાસોલ કોર્પોરેટ જગત જેવું મોડેલ ધરાવે છે.પરંતુ તેનો આત્મા સહકારનો છે સમગ્ર દેશમાં ગુજકોમાસોલ જ એકમાત્ર એવી સંસ્થા છે જે પોતાના સભાસદોને 20 ટકા ડિવિડન્ડ આપે છે. સંસ્થાએ નાણાકીય મજબૂતી દર્શાવતા રિઝર્વ અને અન્ય ફંડમાં રૂ.61.88 કરોડનો વધારો કર્યો છે.જેનાથી રિઝર્વ ફંડ વધીને રૂ.216 કરોડ સુધી પહોંચી ગયું છે. કર્મચારીઓના હિતમાં પણ મોટો નિર્ણય લેતાં નિવૃત્તિ વયમર્યાદા 58 વર્ષથી વધારીને 60 વર્ષ કરવામાં આવી છે.આ ઉપરાંત,ખેડૂતોના ઉત્પાદનોને દેશ-વિદેશના બજારમાં પહોંચાડવા ‘ગુજકો’ નામે નવી બ્રાન્ડ લોન્ચ કરાઈ છે. ગુજકો મોલ પ્રોજેક્ટ અંતર્ગત હાલમાં અમદાવાદ,વડોદરા, સુરત અને જામનગર સહિત કુલ 7 મોલ કાર્યરત છે અને આગામી દિવસોમાં અન્ય શહેરોમાં પણ આ મોલનો વ્યાપ વધારવાનું આયોજન છે.

આ પણ વાંચોઃ Gold Price Today : સોનું ફરી રેકોર્ડ બનાવવાની તૈયારીમાં! ઓગસ્ટમાં 10,000થી વધુ ઉછળ્યા ભાવ, ચાંદી પણ થઈ મોંઘી