મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રાના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથયાત્રાના સંચાલનનું રિયલ ટાઈમ મોનિટરીંગ મુખ્યમંત્રી નિવાસસ્થાનના સી.એમ.ડેશ બોર્ડની વીડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું.મુખ્યમંત્રીએ સવારે જગન્નાથ મંદિરથી રથયાત્રાને પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યારબાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચીને બપોરે વીડિયો વોલ પર આ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યુ હતું. 

રથયાત્રાનું રિયલ ટાઈમ મોનિટરિંગ નિહાળ્યું

મુખ્યમંત્રીએ રથના લોકેશન,પોલીસ દ્વારા એ.આઈ. અને ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી કરવામાં આવી રહેલી રથયાત્રાની નિગરાની અને સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુખ્ય સચિવ એમ.કે.દાસ, મુખ્યમંત્રીના અને ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર,પોલીસ મહાનિદેશક જી.એસ.મલિક તેમજ પોલીસ તથા મહાનગરપાલિકાની ટીમના અધિકારીઓ પણ જોડાયા હતા. 

અડાલજ જગન્નાથ મંદિરની રથયાત્રામાં પહિંદ વિધિ

અડાલજ સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી જગન્નાથ પુરીની ઝાંખી કરાવતી ભવ્ય રથયાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાસ્ત્રોક્ત વિધિ સાથે સુવર્ણની છાંટ વાળી સાવરણીથી પહિંદ વિધિ કરીને તથા ભગવાનની મંગળા આરતીથી કરાવ્યો હતો.આ રથયાત્રા પૂર્વે મંદિર પ્રશાસન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પુષ્પહાર અને પરંપરાગત પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.ભગવાન જગન્નાથ,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વાતાવરણ 'જય જગન્નાથન'ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. 

આ પણ વાંચોઃ Rajkot News: PCBએ 3 ગેરકાયદે હથિયારો સાથે 3 આરોપીની ધરપકડ કરી