ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થયા બાદ રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. નિયત સમયમર્યાદામાં ચૂંટણી ખર્ચનો સત્તાવાર હિસાબ રજૂ ન કરવા બદલ 168 ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે. નિયમોના ખુલ્લા ભંગ બદલ આ તમામ 168 ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને ગેરલાયક ઠેરવવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. 

કડક શિક્ષાત્મક પગલાં ભરવાની રજૂઆત

સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં બેદરકારી દાખવનારા 18 ચૂંટણી અધિકારીઓ સામે પણ કડક શિક્ષાત્મક પગલાં ભરવાની રજૂઆત કરી આયોગ પાસે નિષ્પક્ષ કાર્યવાહીની અપીલ કરવામાં આવી છે. તપાસમાં સામે આવેલા આંકડા અનુસાર, કુલ 168 ઉમેદવારોમાંથી 99 ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનો કોઈ હિસાબ જ રજૂ કર્યો નથી. આ સિવાય ૫૨ ઉમેદવારોની માત્ર એફિડેવિટ જ મળી છે પણ ખર્ચનો હિસાબ ગાયબ છે. જ્યારે 17 ઉમેદવારોનું ખર્ચ પત્રક મળ્યું છે પરંતુ તેમની એફિડેવિટ જમા કરાવવામાં આવી નથી. 

પ્રતિનિધિઓએ પોતાના પદ ગુમાવવાનો વારો આવી શકે

આશ્ચર્યજનક વાત તો એ છે કે કેટલાક કાગળોમાં માત્ર 'NIL' લખીને સબમિટ કરી દેવામાં આવ્યા છે, જેનાથી પ્રજાના નાણાં અને ચૂંટણી પ્રક્રિયાના પારદર્શક વહીવટ સામે મોટા સવાલો ઊભા થયા છે. આ 168 ઉમેદવારોની યાદીમાં મહેસાણાના મેયર સહિતના અનેક કદાવર નેતાઓના નામો સામેલ હોવાથી રાજકીય ક્ષેત્રે મોટો ખળભળાટ મચી ગયો છે.ચૂંટણી અધિકારીઓ અને નેતાઓની મિલીભગત તેમજ બેદરકારી સામે યોગ્ય પગલાં લેવાય છે કે નહીં તેના પર હવે સૌની નજર ટકેલી છે. જો રાજ્ય ચૂંટણી આયોગ આ મામલે કડક વલણ અપનાવશે તો અનેક ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાના પદ ગુમાવવાનો વારો આવી શકે છે.


આ પણ વાંચોઃ Gujarat Weather News: આવતીકાલે રાજ્યમાં ફરી ભારેથી અતિભારે વરસાદની સંભાવના