હવામાન વિભાગના વૈજ્ઞાનિક અખિલ શ્રીવાસ્તવ દ્વારા રાજ્યમાં ફરી એકવાર અતિભારે વરસાદની મોટી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આગાહી મુજબ 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.જેમાં ખાસ કરીને 31 જુલાઈએ 21 સેમીથી પણ વધુ અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે.આ સિવાય કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદની પૂરી સંભાવના છે અને આ વરસાદી માહોલ 3 અને 4 ઓગસ્ટ સુધી પણ યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.

30 જુલાઇ માટે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં એલર્ટ 

હવામાન વિભાગે 30 જુલાઇ માટે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં એલર્ટ આપ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ગાંધીનગર, અમદાવાદ અને ભરૂચ જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા દર્શાવતું 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. જ્યારે રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પંચમહાલ, મહિસાગર, વડોદરા, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભરાવદાર વરસાદની આગાહી સાથે 'યલો એલર્ટ' અપાયું છે.

60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે

વરસાદી સિસ્ટમ ભારે હોવાના કારણે રાજ્યમાં વાવાઝોડા જેવા માહોલ સાથે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા પણ વર્તાવવામાં આવી છે. દરિયામાં કરંટ વધવાની અને ઊંચા મોજા ઉછળવાની સંભાવનાને પગલે તંત્ર દ્વારા માછીમારોને આગામી ચાર દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકાર અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા પણ તમામ જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ મોડ પર રહેવા આદેશ આપી દેવાયા છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: સ્કૂલમા હેલમેટ અને લાઈસન્સ વિનાના વાહનોને નો એન્ટ્રી, સગીર વિદ્યાર્થીઓને ડ્રાઈવિંગ પર પ્રતિબંધ