ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને આત્મહત્યાના બનાવો અટકાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.શિક્ષણ વિભાગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974માં સુધારો કરીને નવી જોગવાઈ વિનિયમ-16(ખ) દાખલ કરી છે.આ સુધારા અન્વયે શાળાઓમાં તણાવમુક્ત વાતાવરણ ઊભું કરવા અને આત્મહત્યા નિવારણ માટે ખાસ દિશાનિર્દેશો લાગુ કરવામાં આવ્યા છે.
શિક્ષણ વિભાગનો નવો પરિપત્ર
શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા આ સત્તાવાર ઠરાવ અનુસાર વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ અને કલ્યાણ ત્યારે જ શક્ય છે જ્યારે તેમનું માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષા સર્વોપરી રહે. વિદ્યાર્થીઓ પરીક્ષા કે અભ્યાસના બોજ હેઠળ આવ્યા વિના તણાવમુક્ત વાતાવરણમાં અભ્યાસ કરી શકે તે અર્થે શાળાઓમાં હવેથી નિયમિત કાઉન્સેલિંગ સેશન્સ, જાગૃતિ કાર્યક્રમો અને માનસિક સ્વાસ્થ્ય માટે નિયત પ્રક્રિયાઓ હાથ ધરવાની રહેશે.આ ઉપરાંત પરિશિષ્ટ-8માં દર્શાવેલ જોગવાઈઓ મુજબ કામગીરી કરીને માનસિક તણાવમાં રહેતા અથવા આત્મહત્યા જેવા નકારાત્મક વિચારો ધરાવતા વિદ્યાર્થીઓની વહેલી ઓળખ કરી તેમને ત્વરિત અને સંવેદનશીલ સંસ્થાકીય મદદ પૂરી પાડવામાં આવશે.
