નેપાળમાં તાજેતરમાં સર્જાયેલી ભીષણ પૂર દુર્ઘટના બાદ ત્યાં સંપર્કવિહોણા થયેલા ગુજરાતના વતનીઓ અને બિન નિવાસી ગુજરાતીઓની ઓળખની પ્રક્રિયા હાલ પૂરજોશમાં ચાલી રહી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને સક્રિય નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા આ આપત્તિમાં ગુમ થયેલા નાગરિકોના પરિવારોને ઝડપથી ન્યાય અને મદદ પૂરી પાડવા માટે યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે ડીએનએ સેમ્પલિંગની પ્રક્રિયા હવે પૂર્ણતાના આરે પહોંચી ગઈ છે.
29 વ્યક્તિઓના પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા
નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં ગુજરાતના કેટલાક નાગરિકો ફસાયા હતા અને સંપર્કવિહોણા બન્યા હતા.આ દુર્ઘટનાની જાણ થતાં જ રાજ્ય સરકાર તાત્કાલિક હરકતમાં આવી હતી.સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર, સંબંધિત જિલ્લાઓનું વહીવટીતંત્ર અને નોન રેસિડન્ટ ગુજરાતીઝ ફાઉન્ડેશન અત્યંત સંકલિત અને સઘન અભિગમ સાથે આ આપત્તિ પ્રબંધનમાં કામ કરી રહ્યા છે.સરકારી તંત્રના અથાગ પ્રયાસોના પરિણામે ગુમ થયેલા કુલ 30 વ્યક્તિઓમાંથી 29 વ્યક્તિઓના પરિવારજનોના ડીએનએ સેમ્પલ સફળતાપૂર્વક એકત્રિત કરી લેવામાં આવ્યા છે.ગુમ થયેલા લોકોની વૈજ્ઞાનિક અને ચોક્કસ ઓળખ સુનિશ્ચિત કરવા માટે ગુજરાતમાં ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.આ હેતુસર રાજ્યમાં ડીએનએ પ્રોફાઇલિંગ માટે કુલ છ નિયુક્ત ફોરેન્સિક લેબોરેટરી કાર્યરત કરવામાં આવી છે.
