ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલું અને દાયકાઓથી રાજ્ય વહીવટનું કેન્દ્ર રહેલું ડૉ. જીવરાજ મહેતા ભવન (જૂનું સચિવાલય) હવે નવા આધુનિક અવતારમાં જોવા મળશે. સંકુલમાં આવેલા કેટલાક બ્લોક અત્યંત જૂના અને જર્જરિત થઈ જતાં માર્ગ અને મકાન વિભાગ (R&B) દ્વારા તેમને તોડી પાડીને ત્યાં નવું અધ્યતન બિલ્ડિંગ બનાવવા રજૂઆત કરવામાં આવી હતી.

ડૉ. જીવરાજ મહેતા ભવનનું નવું બિલ્ડિંગ બનશે

તકનીકી ચકાસણી બાદ અત્યંત ભયજનક અને જર્જરિત હાલતમાં પહોંચેલા બ્લોક નંબર 2, 3, 4 અને 9 ને તોડી પાડવાનો આખરી નિર્ણય લેવામાં આવ્યો છે. જૂના બ્લોક તોડી પાડવાની કામગીરી સરળતાથી અને કોઈ પણ સરકારી કામકાજ ખોરવાયા વગર થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા એક ખાસ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા જર્જરિત બ્લોકમાં ચાલતી કચેરીઓનું સર્વેક્ષણ કરી તેમને અન્ય જગ્યાએ ખસેડવા માટેની બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવી હતી.

સામાન્ય વહીવટી વિભાગનો કડક આદેશ

કમિટીની ભલામણોના આધારે સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા સત્તાવાર લેખિત આદેશ જારી કરી દેવાયો છે. જે હેઠળ આ 4 જર્જરિત બ્લોકમાં ચાલી રહેલી ૩૯ જેટલી સરકારી કચેરીઓને નવનિર્મિત અને ઉપલબ્ધ બ્લોકમાં જગ્યા ફાળવી દેવામાં આવી છે. કચેરીઓનું શિફ્ટિંગ પૂર્ણ થતાં જ R&B વિભાગ દ્વારા જૂના બ્લોક તોડી પાડી નવા બિલ્ડિંગનું બાંધકામ શરૂ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો: Rajkot: મનપાની ફૂડ શાખાએ 2600 કિલો વાસી ખોરાકનો નાશ કર્યો, 48 એકમોમાં ચેકિંગ