ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં એક મોટી અને દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક નિર્માણાધીન બિલ્ડિંગમાં કામકાજ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક સ્લેબ ધરાશાયી થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં સ્લેબના ભારે કાટમાળ નીચે ૧૫ જેટલા શ્રમિકો દટાઈ ગયા હતા. સ્લેબ તૂટી પડતાં જ ઘટનાસ્થળે ભારે અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી, જેનાથી આસપાસના સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.

NDRF, SDRF અને CRPF ની ટીમો તૈનાત

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ તેમજ NDRF, SDRF અને CRPF ની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે શોધખોળ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. હજુ પણ કાટમાળ હેઠળ અન્ય કોઈ વ્યક્તિ દટાયેલી છે કે કેમ તેની ખાતરી કરવા માટે બચાવ ટીમો દ્વારા બારીકાઈથી તપાસ અને સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.

દટાયેલા શ્રમિકો સિવિલ ખસેડાયા

બચાવ કામગીરી દરમિયાન કાટમાળ નીચેથી બહાર કઢાયેલા તમામ ૧૫ ઇજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, ભોગ બનેલા શ્રમિકો મૂળ દાહોદ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના રહેવાસી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ તાબડતોબ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્થિતિનો તાગ મેળવી ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપવા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

આ પણ વાંચો : Ahmedabad News: જે બાંધકામ સાઈટ પર મચ્છર મળે તેને 7 દિવસ સીલ કરોઃ AMC કમિશ્નરનો આદેશ