છોટાઉદેપુર સ્થિત 'માં ગાયત્રી નર્સિંગ કોલેજ' સામે આદિવાસી વિદ્યાર્થીઓના આર્થિક શોષણ અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. વિદ્યાર્થીઓના હિત માટે લડતા યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આ સમગ્ર કથિત કૌભાંડ અંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ (સમક્ષ પુરાવા સાથે લેખિત ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ બાદ શૈક્ષણિક આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
ગેરકાયદેસર રીતે મોટી પેનલ્ટી
ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અનુસાર, કોલેજ પ્રશાસન દ્વારા ફ્રીશીપ કાર્ડ ધરાવતા ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદેસર રીતે મોટી પેનલ્ટી વસૂલવામાં આવી રહી છે. એટલું જ નહીં, જો કોઈ વિદ્યાર્થી હોસ્ટેલમાં ન રહેતો હોય, તો પણ તેની પાસેથી ફરજિયાતપણે ફૂડ બિલ અને હોસ્ટેલ ફી ઉઘરાવવામાં આવી રહી છે.
40 થી 50 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો આરોપ
નિયમોની ઐસીતૈસી કરીને કોલેજ સત્તાધીશોએ વિદ્યાર્થીઓની અસલ માર્કશીટ પણ જપ્ત કરી લીધી છે જેથી કોઈ અવાજ ન ઉઠાવી શકે. આરોપ મુજબ પ્રાથમિક અંદાજ મુજબ, કોલેજે ગેરકાયદેસર રીતે વિદ્યાર્થીઓ પાસેથી અંદાજે રૂ. 40 થી 50 લાખ રૂપિયા પડાવી લીધા છે.
ગુજરાત નર્સિંગ કાઉન્સિલે પોતાનો બચાવ કર્યો
બીજી તરફ, આટલા ગંભીર આક્ષેપો વચ્ચે ગુજરાત નર્સિંગ કાઉન્સિલે પોતાનો બચાવ કર્યો છે. રજીસ્ટ્રાર ડૉ. પ્રજ્ઞા ડાભીનું આ મામલે નિવેદન સામે આવ્યું છે કે, "અત્યાર સુધી અમારી પાસે આવી કોઈ સત્તાવાર ફરિયાદ આવી ન હોવાથી તપાસ કરવામાં આવી નહોતી." જોકે, હવે યુવરાજસિંહ જાડેજા દ્વારા સત્તાવાર રજૂઆત કરવામાં આવી હોવાથી વહીવટી તંત્ર જાગ્યું છે. રજીસ્ટ્રારે ખાતરી આપી છે કે આગામી બોર્ડ મિટિંગમાં આ ગંભીર મામલાને એજન્ડા પર લઈને ઊંડી ચર્ચા કરવામાં આવશે અને જો કોલેજ દોષિત જણાશે તો તેની સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર! આખરે દર વર્ષે આ જ વિસ્તાર સૌથી વધુ કેમ ડૂબે છે? વાંચો એક જ ક્લિકમાં