ગુજરાતમાં અછતની સ્થિતિને લઈને સરકારની મહત્વની બેઠક પૂર્ણ થઈ છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલી ખેડૂતોની રજૂઆતો અને હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ, વન રાજ્યમંત્રી પ્રવીણ માળી અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયા સહિતના મંત્રીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.

કિસાન સંઘે બેઠકમાં શું માંગ્યું?

અછતની સ્થિતિને લઈને યોજાયેલી બેઠકમાં કિસાન સંઘના પ્રતિનિધિઓએ પણ પોતાની રજૂઆત કરી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ અને ખેડૂતો સામે ઉભી થયેલી મુશ્કેલીઓ અંગે સરકાર સમક્ષ વિગતો રજૂ કરવામાં આવી હતી. કિસાન સંઘે માંગ કરી છે કે જ્યાં પૂરતો વરસાદ થયો નથી અને ખેતીને ગંભીર અસર થઈ રહી છે, તેવા વિસ્તારોમાં દુષ્કાળ જાહેર કરવામાં આવે.

સિંચાઈના પાણીથી વીજળી સુધી ચર્ચા

બેઠકમાં ખેડૂતો માટે સિંચાઈના પાણીની ઉપલબ્ધતા, પૂરતી વીજળી અને અન્ય જરૂરી સહાય સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં ક્યાં વિસ્તારોમાં અછતની સ્થિતિ વધુ ગંભીર છે અને ખેડૂતોને તાત્કાલિક કઈ પ્રકારની મદદની જરૂર છે, તેની પણ સમીક્ષા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

જિલ્લાઓની રજૂઆતોએ સરકાર સામે ઊભા કર્યા સવાલ

રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો અને સ્થાનિક સંગઠનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો બેઠકમાં સરકાર સમક્ષ મૂકવામાં આવી હતી. ખેડૂતોને પાક બચાવવા માટે પાણી અને વીજળીની જરૂરિયાત સહિતના મુદ્દાઓ પર સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. વરસાદની અછત ધરાવતા વિસ્તારોમાં આગામી સમયમાં પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે જરૂરી પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી.

દુષ્કાળ જાહેર થશે કે રાહત પેકેજ આવશે?

કિસાન સંઘે સ્પષ્ટ માંગ કરી છે કે જ્યાં વરસાદની ગંભીર અછત છે ત્યાં દુષ્કાળ જાહેર કરવામાં આવે. સાથે જ જે ખેડૂતોને ખરેખર જરૂરિયાત છે તેમને સરકાર દ્વારા યોગ્ય અને તાત્કાલિક મદદ આપવામાં આવે.

સરકાર સામે સૌની નજર 

બેઠક પૂર્ણ થયા બાદ હવે ખેડૂતોની નજર સરકાર આગામી દિવસોમાં અછતગ્રસ્ત વિસ્તારો અને દુષ્કાળ અંગે શું નિર્ણય લે છે તેના પર રહેશે. 


આ પણ વાંચો :   Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?