રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીર, ચીજ અને બટરના વેચાણ તથા વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ ગાંધીનગર મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે ફૂડ સેફ્ટી ટીમ દ્વારા શહેરની વિવિધ હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં અચાનક સઘન ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેથી ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને શુદ્ધ ખાધ્ય પદાર્થો મળી રહે.
પનીર, ચીજ અને બટરના સેમ્પલ એકત્રિત કરાયા
ચેકિંગ દરમિયાન ફૂડ વિભાગની ટીમે અલગ-અલગ હોટલો અને રેસ્ટોરન્ટ્સમાંથી ઉપયોગમાં લેવાતા પનીર, ચીજ અને બટરના શંકાસ્પદ નમૂના (સેમ્પલ) એકત્રિત કર્યા હતા. આ તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વ્યાપારીઓ દ્વારા પ્રતિબંધિત એનાલોગ (નકલી કે વનસ્પતિ તેલયુક્ત) પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે કેમ તેની ખાતરી કરી શકાય અને ગેરરીતિ આચરનારાઓ સામે નિયમોનુસાર કડક પગલાં ભરી શકાય.
