રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો અને વિદ્યાસહાયકો માટે શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યભરમાં પ્રાથમિક શિક્ષકો અને વિદ્યાસહાયકો માટે આગામી 7 સપ્ટેમ્બરના રોજ વધઘટ બદલી કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા વિસ્તૃત પરિપત્ર જાહેર કરીને તારીખની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગના આ નિર્ણયથી લાંબા સમયથી બદલીની રાહ જોઈ રહેલા શિક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જિલ્લા અને નગર શિક્ષણ સમિતિઓ દ્વારા કરાશે આયોજન

આ બદલી કેમ્પનું સમગ્ર આયોજન સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ નગર શિક્ષણ સમિતિઓ દ્વારા કરવામાં આવશે. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ (DPEO) અને શાસનાધિકારીઓને જરૂરી તકેદારી અને તૈયારીઓ કરવા માટે લેખિતમાં જાણ કરી દેવામાં આવી છે. શાળાવાર શિક્ષકોની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યાના ગુણોત્તર (PTR) ને ધ્યાનમાં રાખીને સરપ્લસ (વધ) થયેલા શિક્ષકોને જરૂરિયાત વાળી શાળાઓમાં સમાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

શિક્ષણ વિભાગે વિસ્તૃત પરિપત્ર બહાર પાડી માર્ગદર્શિકા જાહેર કરી

શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં બદલી કેમ્પ અંગેની તમામ નીતિ-નિયમો અને માર્ગદર્શિકાઓ સ્પષ્ટ કરવામાં આવી છે. 7 સપ્ટેમ્બરે યોજાનારા આ કેમ્પમાં પારદર્શક રીતે બદલીની કામગીરી પૂર્ણ થાય તે માટે સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે. આ વધઘટ બદલી કેમ્પ યોજાવાથી શાળાઓમાં શિક્ષકોની અસમતુલા દૂર થશે અને વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યને વધુ સુદ્રઢ બનાવી શકાશે.

આ પણ વાંચો : Ahmedabadના અમરાઈવાડીમાં રક્ષાબંધને જ રક્તપાત, પત્નીને મનાવવા ગયેલા બનેવીની સાળાઓએ કરી હત્યા