ગુજરાતના ડાયમંડ ઉદ્યોગમાં રત્નકલાકારોના શોષણનો મુદ્દો હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. સુરત, તળાજા અને મહુવા જેવા હીરા ઉદ્યોગના મુખ્ય કેન્દ્રોમાં મજૂરીના ભાવવધારાને લઈને રત્નકલાકારોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. વર્ષોથી પરસેવો પાડતા આ કારીગરોને તેમના કામના પ્રમાણમાં યોગ્ય વેતન અને મજૂરી ન મળતા હવે ડાયમંડ વર્કર યુનિયન આક્રમક મૂડમાં આવી ગયું છે અને કામદારોના હિત માટે મેદાને ઉતર્યું છે.

હડતાળ છતાં તંત્રની બેદરકારી અને મીલીભગતનો આક્ષેપ

પોતાની વ્યાજબી માંગણીઓ મનાવવા માટે રત્નકલાકારો દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હોવા છતાં, સરકારી તંત્ર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે. યુનિયન દ્વારા સરકાર અને હીરાના કારખાનેદારો (માલિકો) વચ્ચે મીલીભગત હોવાના આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. રત્નકલાકારોનું સ્પષ્ટ માનવું છે કે માલિકો દ્વારા થતા આર્થિક શોષણ સામે આંખ આડા કાન કરીને તંત્ર શ્રમિકોના હિતોનું રક્ષણ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે.

શ્રમ રોજગાર મંત્રીને રજૂઆત અને નિરાકરણની માંગ

આ સમગ્ર મામલે ડાયમંડ વર્કર્સ એસોસિયેશન દ્વારા સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રીને લેખિતમાં રજૂઆત કરીને રત્નકલાકારોને યોગ્ય હીરા મજૂરી મળે તેવી સ્પષ્ટ માંગ કરાઈ છે. વધુમાં, સરકારી શ્રમ વિભાગમાં અપૂરતા મહેકમને કારણે મજૂરોના પ્રશ્નોનું સમયસર અને યોગ્ય નિરાકરણ થતું ન હોવાની સમસ્યા પણ આગળ ધરવામાં આવી છે, જેને તાત્કાલિક ધોરણે ઉકેલવા યુનિયને અપીલ કરી છે.

આ પણ વાંચો : Gujarat Policeની ટેક્નિકલ ભરતીની પરીક્ષા 23 ઓગસ્ટે, 25 હજાર ઉમેદવારો આપશે પરીક્ષા