રાજ્ય સરકારના 'નિપુણ ગુજરાત અભિયાન' અંતર્ગત જીસીઇઆરટી (GCERT) દ્વારા શાળા સ્તરે બેઝલાઇન સર્વે યોજવા માટેની સત્તાવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ મૂલ્યાંકન રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાલવાટિકાથી લઈને ધોરણ 5 સુધીના બાળકો માટે યોજવામાં આવશે. સર્વેનો મુખ્ય હેતુ પ્રારંભિક તબક્કે બાળકોની પાયાની ભાષાકીય અને ગણન ક્ષમતા ચકાસવાનો છે.

4 અને 5 ઓગસ્ટે ગુજરાતી તેમજ ગણિત વિષયની કસોટી

જાહેર કરાયેલ માર્ગદર્શિકા મુજબ, આવતી 4 ઓગસ્ટના રોજ પ્રથમ દિવસે ગુજરાતી વિષયના વાંચન અને લેખન કૌશલ્યનો બેઝલાઇન સર્વે હાથ ધરાશે. જ્યારે બીજા દિવસે એટલે કે 5 ઓગસ્ટના રોજ ગણિત વિષય માટેનો બેઝલાઇન સર્વે યોજાશે. આ સર્વે પૂર્ણ થયાના એક સપ્તાહની અંદર જ ગુણવત્તા ચકાસણી માટેનું બાહ્ય મૂલ્યાંકન (એક્સટર્નલ ઈવેલ્યુએશન) પણ હાથ ધરવામાં આવશે.

ગેરહાજર બાળકો માટે પણ સ્પષ્ટ સૂચના

GCERT ની ગાઈડલાઈનમાં કસોટી દરમિયાન ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓ અંગે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. જો કોઈ વિદ્યાર્થી 4 કે 5 ઓગસ્ટે અગમ્ય કારણોસર ગેરહાજર રહેશે, તો તે જ્યારે પણ શાળામાં પુનઃ હાજર થશે ત્યારે વર્ગશિક્ષકે તેનું મૂલ્યાંકન કરવું ફરજિયાત રહેશે. જેથી રાજ્યના એક પણ બાળકનું મૂલ્યાંકન બાકી ન રહે તેની ખાતરી કરી શકાય.

આ પણ વાંચો : Monsoon 2026 : સાવલીમાં મીની નદી ગાંડીતૂર, નમીસરા-ટુંડાવને જોડતો પુલ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર ઠપ્પ