ભારતના મહાન વેદો તેમજ તમામ ભાષાઓની જનની એવી ‘સંસ્કૃત’ ભાષાને આજની યુવા પેઢી જાણે-સમજે અને જીવનમાં ઉતારે તેવા હેતુથી રાજ્યભરમાં આજથી તા. ૦૬ થી ૧૨ ઓગસ્ટ સુધી રાજ્ય સરકાર દ્વારા ‘સંસ્કૃત સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા અમલી નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ મુજબ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું જ્ઞાન વિદ્યાર્થીઓમાં આવે તે માટે અભ્યાસક્રમમાં પણ સંસ્કૃત ભાષાને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે તેમ,આજે પેથાપુર ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું હતું.
ગાંધીનગરના પેથાપુર ખાતે આજે ભવ્ય ‘વેદયાત્રા-સંસ્કૃત ગૌરવ યાત્રા’ને પૂજાવિધિ કરાઈ
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેમજ સમર્પણ આર્ટસ અને કોમર્સ કોલેજ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ રાજ્યકક્ષાના 'સંસ્કૃત સપ્તાહ મહોત્સવ' અંતર્ગત ગાંધીનગરના પેથાપુર ખાતે આજે ભવ્ય ‘વેદયાત્રા-સંસ્કૃત ગૌરવ યાત્રા’ને પૂજાવિધિ તેમજ મંત્રોચ્ચાર સાથે શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
શાસ્ત્રો પૂજન વગેરે દિવસોની ઉજવણી સ્વરૂપે વિવિધ કાર્યક્રમ કરવામાં આવશે
સંસ્કૃત ભાષાનું આપણે સૌને ગૌરવ હોવું જોઈએ તેમ જણાવી શિક્ષણ મંત્રી ડૉ. ડિંડોરે કહ્યું કે, દર વર્ષે ‘રક્ષાબંધન’ના દિવસે ગુજરાત સહિત ભારતભરમાં સંસ્કૃત દિવસ ઉજવવામાં આવે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આજથી રાજ્યભરના તમામ જિલ્લોમાં સંસ્કૃત સપ્તાહ ઉજવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સંસ્કૃત ભાષાના વધુ પ્રચાર-પ્રસાર માટે 'જયતુ સંસ્કૃતમ્ જયતુ ભારતમ્'ના મંત્ર સાથે આ સપ્તાહ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ, સંસ્કૃત સાહિત્ય દિવસ, સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ સહિત વેદોનું પૂજન, ઋષિ પૂજન, શાસ્ત્રો પૂજન વગેરે દિવસોની ઉજવણી સ્વરૂપે વિવિધ કાર્યક્રમ કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ સહિત અંદાજે ૬૫૦થી વધુ સંસ્કૃત પ્રેમીઓ સહભાગી થયા હતા
જ્યારે સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે તા. ૧૨ ઓગસ્ટના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં સમાપન કાર્યક્રમ યોજાશે તેમ,જણાવી મંત્રીએ સૌને સંસ્કૃત સપ્તાહની શુભેચ્છાઓ પાઠવીને આ સપ્તાહમાં સહભાગી થવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રિટાબેન પટેલ, જિલ્લા કલેકટર મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી બી.જે પટેલ તેમજ ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભગવાનભાઈ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિતિ રહી આ યાત્રામાં સહભાગી થયા હતા. 'જયતુ સંસ્કૃતમ્ જયતુ ભારતમ્'ના સૂત્રોચ્ચાર તેમજ સંસ્કૃત ભાષાને પ્રોત્સાહિત કરતા પ્લે કાર્ડ સાથે રામદેવપીર મંદિરથી પેથાપુર ચોકડી સુધી યોજાયેલી ''સંસ્કૃત ગૌરવ યાત્રા'માં જિલ્લા વહીવટીતંત્ર- રાજ્ય સંસ્કૃત બોર્ડના ઉચ્ચ અધિકારીઓ, સમર્પણ આર્ટસ અને કોમર્સ કોલેજના ડૉ. મહેન્દ્રસિંહ વાઘેલા, પ્રિન્સિપાલ ડૉ. આશિષ દવે, માધ્યમિક શાળા, સંસ્કૃત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સહિત અંદાજે ૬૫૦થી વધુ સંસ્કૃત પ્રેમીઓ સહભાગી થયા હતા.