ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃતના સર્વાંગી વિકાસ માટે શ્રાવણી પૂર્ણિમાના દિવસે વિશ્વ સંસ્કૃત દિનની ઉજવણી કરવામાં આવે છે. જેના અંતર્ગત સમગ્ર રાજ્યમાં આજથી સંસ્કૃત ગૌરવ યાત્રા એટલે કે સાહિત્ય દિવસની ઉજવણી શરૂ થઈ છે. ત્યારે સંસ્કૃત સપ્તાહ નિમિત્તે અમદાવાદ ખાતે પણ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા 'સંસ્કૃત ગૌરવ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રભાત ચોક ખાતેથી સંસ્કૃત યાત્રાનું પ્રસ્થાન થયું હતુ.
ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન
આ યાત્રા થકી સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ અને સંવર્ધન તેમજ પ્રચાર-પ્રસાર થાય તેવા પ્રયાસો કરવાના પ્રયાસ કરાયા હતા. આ યાત્રામાં નાના બાળકોથી લઈને મહિલાઓ પણ સામેલ થઈ હતી. બાળકો ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન વિવિધ વેશભૂષા સાથે યાત્રામાં જોડાયા હતા. સંસ્કૃત ભાષા એ ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કર્યો હતો. આ યાત્રા થકી સમાજમાં સંસ્કૃત સાહિત્યનું ગૌરવ વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આ વિશેષ ઉજવણીને લઈને ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
પીએમ મોદીની અપીલ
સંસ્કૃતના સર્વાંગી વિકાસ માટે ‘યોજના પંચકમ્’ અંતર્ગત આ ઉજવણી કરવામાં આવી રહી છે. 'સંસ્કૃત ગૌરવ યાત્રા'નો ઉદેશ્ય આ પરંપરાગત ભાષાનો વિકાસ કરવાનો છે. સંસ્કૃત ભાષા સરસ અને સરળના લક્ષ્ય સાથે રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાનો કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસ કરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકો વધુ સંસ્કૃત સાહિત્યનું વાંચન કરે તેના પર ભાર મૂકયો છે. સંસ્કૃત ભાષા ફક્ત એક ભાષા નથી પરંતુ ભારતના અધ્યાત્મ અને સાંસ્કૃતિક પરંપરાનો અમૂલ્ય વારસો છે તેમ પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું હતું.
વિશ્વ સંસ્કૃત દિન
દરવર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે વિશ્વ સંસ્કૃત દિનની ઉજવણી થાય છે. શ્રાવણ પૂર્ણિમા એ ખાસ તહેવાર રક્ષાબંધન પણ હોય છે. એટલે આ બેવડી ઉજવણી ભારતીય સંસ્કૃતિને વધુ જીવંત બનાવશે. આ વર્ષે 9 ઓગસ્ટના દિવસે શ્રાવણ પૂર્ણિમા આવે છે. અને તેના ત્રણ દિવસ પહેલા અને પછી એમ કુલ 7 દિવસ સંસ્કૃત ગૌરવ સપ્તાહ મનાવવામાં આવશે. આ વર્ષે ગુજરાતભરમાં 6થી 12 ઓગસ્ટ 2025 દરમિયાન સંસ્કૃત સપ્તાહની ઉજવણી થશે.