ગુજરાતની સરકારી શિક્ષણ વ્યવસ્થા સામે એક ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. રાજ્યની સરકારી ઇજનેરી કોલેજોમાં શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફની ગંભીર અછતને કારણે શિક્ષણનું સ્તર જોખમાઈ રહ્યું છે. એક તરફ સરકાર નવા ટેકનિકલ કોર્સ શરૂ કરવાની જાહેરાતો કરી રહી છે, તો બીજી તરફ તે કોર્સ ભણાવવા માટે નિષ્ણાત અધ્યાપકો જ હાજર નથી.
16 સરકારી કોલેજોમાં 35 ટકાથી 40 ટકા ટીચિંગ સ્ટાફની ઘટ
મળતી માહિતી મુજબ, રાજ્યની 16 સરકારી ઇજનેરી કોલેજોમાં મંજૂર થયેલા મહેકમ સામે 35 ટકાથી 40 ટકા જેટલી ટીચિંગ સ્ટાફની જગ્યાઓ ખાલી પડી છે. સ્ટાફની આટલી મોટી અછતને કારણે વર્તમાન અધ્યાપકો પર કામનું ભારણ અસહ્ય રીતે વધી ગયું છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેનું સંતુલન બગડતા સીધી અસર વિદ્યાર્થીઓના અભ્યાસ અને રિસર્ચ વર્ક પર પડી રહી છે.
બિન-શૈક્ષણિક અને વર્ગ-3ના સ્ટાફની સ્થિતિ વધુ ગંભીર
માત્ર અધ્યાપકો જ નહીં, પણ વહીવટી અને લેબોરેટરી કામગીરી સંભાળતા બિન-શૈક્ષણિક સ્ટાફની સ્થિતિ પણ અત્યંત દયનીય છે. વર્ગ-3 ની જગ્યાઓમાં અંદાજે 70 ટકા સ્ટાફની ઘટ જોવા મળી રહી છે. બિન-શૈક્ષણિક સ્ટાફની કુલ 478 મંજૂર થયેલી જગ્યાઓમાંથી 310 જગ્યા ખાલી પડી છે. આ સ્થિતિને કારણે કોલેજોનું દૈનિક વહીવટી કામકાજ અને પ્રોજેક્ટ વર્ક ખોરવાઈ રહ્યા છે.
નવા કૌશલ્ય આધારિત કોર્સ સામે નિષ્ણાતોનો અભાવ
સરકાર દ્વારા સમય સાથે તાલ મિલાવવા માટે ઇજનેરી કોલેજોમાં નવા અને આધુનિક કોર્સ શરૂ કરવાની જાહેરાતો તો કરવામાં આવે છે, પરંતુ આ નવા વિષયો ભણાવવા માટે જરૂરી નિષ્ણાત સ્ટાફની ભારે અછત પ્રવર્તી રહી છે. પરિણામે, વિદ્યાર્થીઓને નવા ટેકનિકલ યુગ મુજબનું ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. અધ્યાપક મંડળ દ્વારા ટીચિંગ સ્ટાફનું તાત્કાલિક રિ-સ્ટ્રક્ચર કરવાની માંગણી પણ મંડળ દ્વારા કરવામાં આવી છે.
મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી રજૂઆત
એન્જિનિયરિંગ કોલેજ અધ્યાપક મંડળના જનરલ સેક્રેટરી પંકજ પ્રજાપતિ એ આ મુદ્દે ભારે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમારા મંડળ દ્વારા છેલ્લા 5 વર્ષથી આ બાબતે સતત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી રહી છે. છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. આખરે આ ગંભીર સમસ્યા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તેમણે વધુમાં ચેતવણી આપતા કહ્યું હતું કે, જો આગામી દિવસોમાં શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફની ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી કરીને યોગ્ય ઉકેલ નહીં લાવવામાં આવે, તો અધ્યાપકો ગાંધી ચિંધ્યા માર્ગે હડતાળ અને ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર બનશે.
આ પણ વાંચો - દુબઈ-મુંબઈની ફ્લાઇટનું Rajkot Airport પર ઈમરજન્સી લેન્ડિંગ