નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં લાંબા સમયથી ચાલી રહેલા જંગલ જમીનના વિવાદને ઉકેલવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ અને નિર્ણાયક કદમ ઉઠાવવામાં આવ્યું છે.સાંસદ મનસુખ વસાવા તેમજ નાયબ મુખ્યમંત્રી અને વન મંત્રી વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે.વન મંત્રી પ્રવિણ માળી અને જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થયા બાદ તુરંત સાગબારાની મુલાકાતે જશે.આ મુલાકાત દરમિયાન બંને મંત્રીઓ વન વિભાગના સ્થાનિક અધિકારીઓ સાથે સગન સમીક્ષા બેઠક યોજશે અને પરિસ્થિતિની વિગતવાર માહિતી મેળવશે.
આંદોલનકારી ખેડૂતો સાથે મંત્રીઓ કરશે ચર્ચા
જંગલ જમીનના હક માટે આંદોલન ચલાવી રહેલા સ્થાનિક ખેડૂતો અને અગ્રણીઓ સાથે બંને મંત્રીઓ સીધો સંવાદ સાધશે. ખેડૂતોની રજૂઆતો અને સમસ્યાઓને સાંભળીને સ્થળ પર જ ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.આ અંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, જે ખેડૂતો વર્ષોથી જમીન ખેડી રહ્યા છે અને જેમની પાસે તેના યોગ્ય પુરાવા છે, તેમને નિયમ મુજબ જમીનના હક આપવામાં આવશે. કોઈ પણ અન્યાય વગર પુરાવાના આધારે જમીન સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
