નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં લાંબા સમયથી ચાલી રહેલા જંગલ જમીનના વિવાદને ઉકેલવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ અને નિર્ણાયક કદમ ઉઠાવવામાં આવ્યું છે.સાંસદ મનસુખ વસાવા તેમજ નાયબ મુખ્યમંત્રી અને વન મંત્રી વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે.વન મંત્રી પ્રવિણ માળી અને જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થયા બાદ તુરંત સાગબારાની મુલાકાતે જશે.આ મુલાકાત દરમિયાન બંને મંત્રીઓ વન વિભાગના સ્થાનિક અધિકારીઓ સાથે સગન સમીક્ષા બેઠક યોજશે અને પરિસ્થિતિની વિગતવાર માહિતી મેળવશે.

આંદોલનકારી ખેડૂતો સાથે મંત્રીઓ કરશે ચર્ચા

જંગલ જમીનના હક માટે આંદોલન ચલાવી રહેલા સ્થાનિક ખેડૂતો અને અગ્રણીઓ સાથે બંને મંત્રીઓ સીધો સંવાદ સાધશે. ખેડૂતોની રજૂઆતો અને સમસ્યાઓને સાંભળીને સ્થળ પર જ ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.આ અંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, જે ખેડૂતો વર્ષોથી જમીન ખેડી રહ્યા છે અને જેમની પાસે તેના યોગ્ય પુરાવા છે, તેમને નિયમ મુજબ જમીનના હક આપવામાં આવશે. કોઈ પણ અન્યાય વગર પુરાવાના આધારે જમીન સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

80 હજાર જેટલા દાવાઓ બાબતે પણ આ બેઠકમાં સઘન ચર્ચા

રાજ્યમાં જંગલ જમીનના અધિકાર મેળવવા માટે અટકાયેલા અને પેન્ડિંગ પડેલા આશરે 80 હજાર જેટલા દાવાઓ બાબતે પણ આ બેઠકમાં સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ નિર્ણયથી સાગબારા અને આસપાસના વિસ્તારના હજારો આદિવાસી ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું છે. સાગબારા તાલુકામાં જંગલ જમીન ખેડાણની મંજૂરીના મુદ્દે ખેડૂતોનું આંદોલન યથાવત્ રહ્યું છે. સાંસદ મનસુખ વસાવાએ ધરણાં સ્થળની મુલાકાત લીધી હતી અને ખેડૂતોને સમર્થન આપ્યું હતું.તેઓ ખેડૂતો સાથે ધરણાં પર બેઠા હતા અને વન વિભાગના અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા હતા.


આ પણ વાંચોઃ Sandesh Digital Exclusive : નેપાળમાં વિનાશક પૂરની દુર્ઘટના પહેલા જ ગુજરાતના પ્રવાસીઓએ છોડી હતી જગ્યા, જાણો કેવી હતી સ્થિતિ?