ગુજરાતમાં માર્ચ મહિનામાં બજેટ સત્ર મળ્યા પછી દર વખતે સપ્ટેમ્બરમાં બેઠક મળતી હોય તેમ આજે બુધવારથી ત્રણ દિવસનું ચોમાસુ સત્ર મળી રહ્યું છે.જેમાંથી પહેલા દિવસે શોક પ્રસ્તાવ પછી પરંપરા મુજબ ગૃહનું કામકાજ મુલતવી રખાશે.બાકીના બે દિવસમાં બે નવા કાયદા અને 11 કાયદાઓમાં સુધારા માટે એમ કુલ મળીને 8 વિધેયકો ચર્ચા માટે રજૂ થશે.બહુમતીને જોરે શાસકપક્ષ જેવો સુધારો સુચવશે તેવો પસાર પણ થઈ જશે!ચોમાસુ સત્રમાં અંદાજે 12 કલાક માટે ત્રણ તબક્કે વિધાનસભા મળશે.ત્રણેય દિવસ પ્રજાના પ્રશ્નો,સરકારી વ્યવસ્થાઓમાં ખામીઓ અને ગેરરીતિઓને ઉજાગર કરવા માટે ચૂંટાયેલા સભ્યોને એક એક કલાકનો પ્રશ્ન કાળ મળશે. મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ અને ધારાસભ્યો વિધાનસભામાં પહોંચ્યા છે. વિધાનસભાની કામગીરી શરૂ થઈ ગઈ છે. હવે પ્રશ્નોત્તરી કાળ શરૂ થશે.વિધાનસભા ગૃહ તેના નિયત સમય કરતાં થોડું મોડું શરૂ થયું હતું. જે 12 વાગ્યે શરૂ થવાનું હતું પરંતુ તે ચાર મિનિટ મોડુ શરૂ થયું હતુ.
'મે કોઈ વંદે માતરમનું અપમાન કર્યું નથી', વિવાદ વચ્ચે ઇમરાન ખેડવાલાએ કરી સ્પષ્ટતા
વંદે માતરમ ગાન દરમિયાન બેસી જવાના મુદ્દે વિવાદ ઊભો થતાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડવાલાએ સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, તેમણે વંદે માતરમનું કોઈ અપમાન નથી કર્યું; અત્યાર સુધી જે મૂળ ગીત ગવાતું હતું, ત્યાં સુધી તેઓ સન્માનપૂર્વક ઊભા જ રહ્યા હતા, પરંતુ ભાજપ દ્વારા જેમાં ઉમેરો કરવામાં આવ્યો હતો, તે લાઇન વખતે તેઓ બેસી ગયા હતા. ખેડવાલાએ વધુમાં ઉમેર્યું કે, ભાજપે તેમને દેશપ્રેમ શીખવવાની કે બતાવવાની કોઈ જરૂર નથી. તેઓ અલ્લાહની ઇબાદત કરે છે અને તેની સાથે દેશભક્ત પણ છે, પરંતુ તેમની વિચારધારા કોંગ્રેસની છે, ભાજપની નહીં. આ તેમનો સંપૂર્ણપણે વ્યક્તિગત નિર્ણય હતો અને આ બાબતે અન્ય ધારાસભ્યો બેઠા નહોતા.
ઇમરાન ખેડાવાલા પર વંદે માતરમના અપમાન બદલ પગલાં લેવા મંત્રીઓ રજૂઆત કરશે
વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા 'વંદે માતરમ' ગાન દરમિયાન બેસી રહીને કરવામાં આવેલા કથિત અપમાનના મામલાએ હવે મોટું રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. આ ગંભીર બાબતને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મંત્રીમંડળનું એક ઉચ્ચ સ્તરીય ડેલિગેશન સીધું વિધાનસભા અધ્યક્ષને મળવા પહોંચ્યું હતું. આ પ્રતિનિધિ મંડળ દ્વારા અધ્યક્ષ સમક્ષ સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે કે રાષ્ટ્રગીતના અપમાન સમાન આ કૃત્ય બદલ ઇમરાન ખેડાવાલા સામે નિયમોનુસાર કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવે.
આજની વિધાનસભાની કાર્યવાહી પૂર્ણ
વિધાનસભા ગૃહમાં આજની સમગ્ર દિવસ દરમિયાનની વિધાયક કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ સરકાર વતી સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે ગૃહ આવતીકાલે બપોરે 12 કલાકે મળશે તેવી જાહેરાત સાથે ગૃહ મુલત્વી રાખવાની દરખાસ્ત રજૂ કરી હતી.જેને કોંગ્રેસ પક્ષના સમર્થન અને સર્વાનુમતે સ્વીકારવામાં આવતા આજના દિવસની બેઠકનું સમાપન કરવામાં આવ્યું છે.
વિધાનસભા ગૃહમાં સ્વર્ગસ્થ સભ્યો માટે શોક પ્રસ્તાવ
વિધાનસભા ગૃહના પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના દિવંગત પૂર્વ સભ્યોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતો શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ અન્વયે પૂર્વ મંત્રીઓ યોગેશ પટેલ, મોહનસિંહ રાઠવા તેમજ લલિતકુમાર પટેલ, પોપટલાલ પટેલ અને સુનિલ ગામિતને ગૃહ દ્વારા આદરપૂર્વક શોકાંજલિ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત, મુખ્યમંત્રીએ નેપાળમાં સર્જાયેલી ગંભીર પૂર હોનારત અંગે પણ ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને આ દુર્ઘટનામાં ગુજરાતથી ગયેલા યાત્રીઓની સ્થિતિ અંગે વિશેષ ઉલ્લેખ કરીને તેમની સલામતી અને રાહત કામગીરી બાબતે વિગતો રજૂ કરી હતી.
રાજ્ય સરકારે કોંગ્રેસના સવાલનો જવાબ આપ્યો
કોંગ્રેસના પ્રશ્નનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંવેદનશીલ નિર્ણયનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે પૂરનું પાણી ઓસરતાની સાથે જ સહાયની ચૂકવણી શરૂ કરી દેવામાં આવી હતી, જેમાં કેસડોલમાં વ્યક્તિ દીઠ 300 રૂપિયા લેખે ત્રણ દિવસના 1800 રૂપિયા, ઘરવખરી પેટે 2500 રૂપિયા તેમજ પશુધન માટે પણ સહાય ચૂકવવામાં આવી છે અને જો ભવિષ્યમાં જરૂર જણાય તો કોઈપણ સહાયમાં વધારો કરવા માટે સરકાર ગંભીરતાથી વિચારણા કરશે
કોંગ્રેસની રાજ્યમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ
વિધાનસભા ગૃહમાં વલસાડ અને નવસારી જિલ્લામાં પૂર સહાય અંગેના મૂળ પ્રશ્ન પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા રાજ્યના અડધાથી વધુ ભાગમાં વરસાદ ખેંચાવાના કારણે રાજ્યમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી.આ માંગના જવાબમાં મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે સામાન્ય રીતે ચોમાસું પૂરું થયા બાદ સર્વેની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ રાજ્ય સરકારે અત્યારથી જ જરૂરી કામગીરી શરૂ કરી દીધી છે અને નાગરિકો માટે ઘાસચારાથી માંડીને સિંચાઈ, પીવાનું પાણી અને જરૂરી વીજળીનો પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે.
રાષ્ટ્રગીતના સન્માનમાં મર્યાદા ભંગને લઈ અમે અધ્યક્ષને રજૂઆત કરીશુંઃ પ્રવીણ માળી
વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે વંદે માતરમ ગાન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા દ્વારા બેસી જવાની ઘટેલી ઘટનાને લઈને શાસક પક્ષ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. વન રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ કહ્યું હતું કે, વંદે માતરમથી સત્રની શરૂઆત થવાની વર્ષો જૂની પરંપરા રહી છે પરંતુ આ પ્રકારે રાષ્ટ્રગીતના સન્માનમાં મર્યાદા ભંગ થવો અત્યંત ગંભીર બાબત છે.આ કોંગ્રેસ પક્ષનું સત્તાવાર સ્ટેન્ડ છે કે પછી તે ધારાસભ્યનું કોઈ વ્યક્તિગત કૃત્ય છે તે અંગે કોંગ્રેસે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવું જોઈએ.અગાઉ ક્યારેય વિધાનસભા ગૃહમાં આવી શરમજનક ઘટના બની નથી અને જો આ કૃત્ય જાણી જોઈને કરવામાં આવ્યું હોય તો તેમણે તાત્કાલિક માફી માંગવી જોઈએ.સરકારે આ સમગ્ર મામલાને અત્યંત ગંભીરતાથી લીધો છે અને સંસદીય પ્રણાલીઓ તથા મર્યાદાઓ કોંગ્રેસ સારી રીતે જાણતી હોવા છતાં આવું જાણી જોઈને કરવામાં આવ્યું હોવાથી આ અંગે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ સત્તાવાર રજૂઆત કરવામાં આવશે.
રાજ્યમાં સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 અને ગ્રેડ 2ની જગ્યાઓ ખાલી
રાજ્યમાં સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 અને ગ્રેડ 2ની જગ્યાઓ ખાલી હોવાનો સરકારે વિધાનસભા ગૃહમાં સ્વીકાર કર્યો છે.ધારાસભ્ય મહેશ કસવાલા દ્વારા પૂછવામાં આવેલા સવાલના લેખિત જવાબમાં સરકારે જણાવ્યું હતું કે,સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1ની મંજૂર થયેલી 205 જગ્યાઓ પૈકી 56 જગ્યાઓ ખાલી છે.જ્યારે સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2ની 344 જગ્યાઓ પૈકી 90 જગ્યાઓ ખાલી પડેલી છે.સરકાર દ્વારા આ ખાલી પડેલી તમામ જગ્યાઓ આગામી સમયમાં સીધી ભરતી અને બઢતીની પ્રક્રિયા દ્વારા ભરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે
વિધાનસભાના અધ્યક્ષની મંત્રી ઋષિકેશ પટેલને ટકોર
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન લાંબા જવાબો આપવા બદલ અધ્યક્ષ દ્વારા મંત્રીને ટકોર કરવામાં આવી હતી.ઊર્જા વિભાગના પ્રશ્નો સંદર્ભે મંત્રી ઋષિકેશ પટેલ તરફથી લાંબા જવાબો આપવામાં આવી રહ્યા હતા.ત્યારે અધ્યક્ષે સ્પષ્ટ સૂચના આપતા જણાવ્યું હતું કે જ્યારે વિભાગની માંગણીઓ ચર્ચા માટે આવે ત્યારે વિગતવાર લાંબો જવાબ આપજો અત્યારે પ્રશ્ન પૂરતો માત્ર ટૂંકો જ જવાબ આપો.જોકે,આ દરમિયાન અધ્યક્ષે ખેડૂતોને બે કલાક વધુ વીજળી આપવામાં આવી રહી છે તેને આવકારદາຍક ગણાવતા તે સારું હોવાનું પણ ઉમેર્યું હતું.
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા વિધાનસભા ગૃહમાં સવાલ
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા વિધાનસભા ગૃહમાં સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે સરકારે ભરતી કેલેન્ડર બહાર પાડ્યું છે, તો આ ખાલી જગ્યાઓ ભરવા માટે સરકારનું શું આયોજન છે કે કેમ? જેના જવાબમાં સરકાર વતી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ૩૧ જેટલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે, જ્યારે બઢતીના નિયમોમાં હજુ સુધારો કરવાનો બાકી હોવાથી તે પ્રક્રિયા પણ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.
મહેસૂલ વિભાગની જમીન દફરત નિરીક્ષકની જગ્યા ખાલી
મહેસૂલ વિભાગમાં જમીન દફતર નિરીક્ષકની જગ્યાઓ ખાલી હોવાનો સરકારે વિધાનસભા ગૃહમાં લેખિતમાં સ્વીકાર કર્યો છે.ભુજ મ્યુનિસિપલ કોર્પોરેશન કે ધારાસભ્ય કેશુભાઈ પટેલ દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં જમીન દફતર નિરીક્ષકની મંજૂર થયેલી કુલ 326 જગ્યાઓ પૈકી 50% એટલે કે 165 જગ્યાઓ ખાલી પડી છે અને હાલ માત્ર 161 જગ્યાઓ જ ભરાયેલી છે.
કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા ચર્ચામાં
વિધાનસભાના સત્રની શરૂઆતમાં વંદે માતરમ ગાન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા ચર્ચામાં આવ્યા હતા, કારણ કે તેઓ ચાલુ વંદે માતરમ ગાન દરમિયાન ઊભા થઈને ફરી બેસી ગયા હતા. જ્યારે કોંગ્રેસના બાકીના તમામ ધારાસભ્યો પોતાની જગ્યા પર અડગ ઊભા રહીને વંદે માતરમ ગાનમાં જોડાયા હતા, ત્યારે વંદે માતરમ પૂરું થતાં જ ભાજપના ધારાસભ્યો દ્વારા એવી કોમેન્ટ પણ કરવામાં આવી હતી કે ઇમરાન ખેડાવાળા વંદે માતરમમાં ઊભા નહોતા થયા.
ભાજપના જ ધારાસભ્યોએ સરકાર સમક્ષ સવાલો ઉઠાવ્યા
અનાવૃષ્ટિના કારણે રાજ્યમાં સર્જાયેલી પાણીની સમસ્યાને લઈને ભાજપના જ ધારાસભ્યોએ સરકાર સમક્ષ સવાલો ઉઠાવ્યા છે, જેમાં ગીર પંથકમાં ડેમ ખાલી થઈ જવાના કારણે વન્ય પ્રાણીઓને પડનારી મુશ્કેલીઓનો મુદ્દો સામે આવ્યો છે. ગીરના ડેમોમાં પાણી નહીં હોય તો મૂગા પ્રાણીઓને પીવાના પાણીની ભારે વિકટ સમસ્યા સર્જાશે તેવી ચિંતા વ્યક્ત કરીને ભાજપના ધારાસભ્ય ભગાભાઈ બારડ દ્વારા ગીરના ડેમોમાં સૌની યોજનાનું પાણી નાખવામાં આવે તેવી સખત માંગ કરવામાં આવી હતી. આ પ્રશ્નના ઉત્તરમાં પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે આ અંગે યોગ્ય સર્વે કરીને વત્વરિત ધોરણે જરૂરી કામગીરી કરવામાં આવશે.
ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીનો સવાલ
અમરેલીમાં સૌની યોજનાની કામગીરી અને ચેકડેમ ભરવા અંગે ક્યારે કામગીરી થશે તેવો સવાલ ભાજપના જ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા પૂછવામાં આવ્યો હતો.જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે આ અંગે ઓગસ્ટ મહિનામાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને ગઈકાલે જ ટેન્ડર મંજૂર કરીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે, તેમજ આગામી ૧૩-૧૦-૨૦૨૬ સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનો દાવો કરવામાં આવ્યો છે જેથી ખાલી ચેકડેમ પાણીથી ભરી શકાશે.

આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ નારા લગાવ્યા
ગુજરાત વિધાનસભાના સત્રના પ્રારંભે આમ આદમી પાર્ટી (આપ) દ્વારા વિધાનસભા પ્રવેશદ્વાર પર અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, જેમાં પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી સહિત ધારાસભ્યો ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા હાજર રહ્યા હતા. આપના નેતાઓ અને ધારાસભ્યો ખેડૂતોને પૂરતું પાણી આપો અને ખેડૂતોને સહાય આપો ના નારા લગાવીને તથા વિરોધના પ્રતીકરૂપે હાથમાં ઘાસચારો લઈને વિધાનસભા પહોંચ્યા હતા અને સરકાર સમક્ષ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ઉગ્ર માંગ કરી હતી.
સકારાત્મક ચર્ચાઓ થાય તેવી અપેક્ષાઃ મુખ્યમંત્રી
આજથી ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ગૃહ ખાતે પહોંચીને મીડિયા સમક્ષ મહત્વનું નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજથી શરૂ થઈ રહેલા આ સત્ર દરમિયાન ત્રણેય દિવસ સરકારી બિલોની સાથે-સાથે પ્રજાના મહત્વના પ્રશ્નો ઉપર સઘન ચર્ચા કરવામાં આવશે. સરકાર જનતાના તમામ પ્રશ્નોના ઉત્તર આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને આ સત્ર દરેક ધારાસભ્ય માટે જનતાના પ્રશ્નો અને રજૂઆતો ગૃહમાં મૂકવા માટેનો એક ઉત્તમ અવસર પૂરો પાડે છે, જેથી ગૃહમાં ખૂબ સારી રીતે સકારાત્મક ચર્ચાઓ થાય તેવી અપેક્ષા છે.
આ પણ વાંચોઃ Ambaji News : ભાદરવી પૂનમે 52 ગજની ધજા લઈને અંબાજી જવાના હોય તો આ સમાચાર તમારી માટે છે