ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ-2017ની કલમ 15(3) હેઠળ અત્યારે વેચાણ કે ખરીદીના તબક્કે ડિસ્કાઉન્ટ આપવા માટેની યોજના કે શરત નક્કી હોવી ફરજિયાત છે.જેથી પાછળથી રિટેલર વેપારી માલનું વેચાણ ન કરી શકે તેવી સ્થિતિમાં વેચનાર ઉત્પાદક કે પછી હોલસેલર ડિસ્કાઉન્ટ આપે તોપણ તે જીએસટીના દાયરામાં આવે છે.જેના કારણે સરવાળે સૌને અર્થાત્ ગ્રાહક સુધીની ચેનલને નુકસાન ઉઠાવવું પડે છે.આવી વિચિત્ર પરિસ્થિતિને ઉકેલવા નાણાપ્રભારી કનુભાઈ દેસાઈ બુધવારથી મળી રહેલા વિધાનસભાના ચોમાસું સત્રમાં ઉપરોક્ત કાયદામાં સુધારા વિધેયક રજૂ કરશે.

યોજના કે શરત અંગે પૂર્વશરતને રદ કરવામાં આવશે
ગુજરાત જીએસટી એક્ટમાં સુધારા માટે વિધાનસભા પટલ ઉપર મુકાયેલા વિધેયકમાં કુલ ચાર મોટા ફેરફાર સૂચવાયા છે.જેમાં કલમ 15(3)માં ડિસ્કાઉન્ટ આપવાની યોજના કે શરત અંગે પૂર્વશરતને રદ કરવામાં આવશે.જેથી વેપારીઓને વેચાણવૃદ્ધિ માટે નાની સ્કીમ કે ડિસ્કાઉન્ટ માટે પહેલેથી કાયદાકીય કરાર કે કાગળિયાં કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. વેપારી માંગ, સ્ટોક ખાલી કરવા કે ફેસ્ટિવલ સ્કીમ માટે ત્વરિત અને મુક્તપણે ડિસ્કાઉન્ટ આપી શકશે.આ પરિસ્થિતિમાં વેપારીઓને ટેક્સની બચત થશે.

જેઓ નિકાસ કરે છે તેમને મોટા પાયે લાભ થશે
તેનો સીધો લાભ ગ્રાહકો સુધી પહોંચતાં સામાન્ય નાગરિકોને પણ સ્પર્ધાત્મક ભાવે ઓછી કિંમતે વસ્તુઓ મળતાં બજારની તરલતા વધશે. વેચાણ પછીના ડિસ્કાઉન્ટ માટે કાયદામાં ક્રેડિટ નોટની જોગવાઈ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત હાલમાં જે રીતે અરજીથી 60 દિવસમાં રિફંડની જોગવાઈ છે અને નિકાસલક્ષી વેપારોમાં ૭ દિવસમાં 90 ટકા પ્રોવિઝનલ રિફંડ ચૂકવાય છે, તેવી જ રીતે ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરમાં પણ સાત દિવસમાં 90 ટકા રિફંડ આપવા કલમ-54માં સુધારામાં આવશે. જેનાથી હેન્ડીક્રાફ્ટથી લઈને નાના ઉત્પાદકો અને વિક્રેતાઓ કે જેઓ નિકાસ કરે છે તેમને મોટા પાયે લાભ થશે.
આ પણ વાંચોઃ Junagadh: વણઝારી પ્રાથમિક શાળામાં ગેરકાયદે ઉર્ષની રસોઈ મામલે DEO દોડ્યા, આચાર્ય સામે સસ્પેન્શન સહિતની કાર્યવાહીની તૈયારી