CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે એક ઐતિહાસિક પગલું ભરતાં ગુજરાત જન વિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-2025 વિધાનસભામાં પસાર કર્યું છે. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે રજૂ કરેલા આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ અને ‘અર્નિંગ વેલ - લિવિંગ વેલ’ ના મંત્રને સાકાર કરવાનો છે. આ બિલ દ્વારા છ વિભાગોના 11 કાયદાઓ અને અધિનિયમોમાં કુલ 516 જેટલી જોગવાઈઓમાં સુધારા કરવામાં આવશે, જેનાથી નાગરિકો અને ઉદ્યોગસાહસિકો પરનો કાયદાકીય બોજ ઘટશે. આ પગલું PM નરેન્દ્રભાઈ મોદીના ‘મેક્સિમમ ગવર્નન્સ - મિનિમમ ગવર્મેન્ટ’ના ધ્યેયને અનુરૂપ છે.


દંડ અને જેલની સજાને નાણાકીય પેનલ્ટીમાં પરિવર્તિત કરાશે

આ વિધેયકનો સૌથી મોટો ફાયદો એ છે કે, તે નાની ભૂલો માટે થતી જેલની સજા કે ભારે દંડને નાણાકીય પેનલ્ટીમાં પરિવર્તિત કરશે. કુલ 17 જોગવાઈઓમાં કેદ અથવા ફાઈનને પેનલ્ટીથી બદલવામાં આવી છે, જ્યારે 498 ફાઈનને પણ પેનલ્ટીથી બદલવામાં આવશે. આનાથી કાયદાની ચૂકના કિસ્સામાં નાગરિકોમાં બિનજરૂરી ભય ઘટશે અને ન્યાયિક પ્રણાલી પરનું ભારણ પણ ઓછું થશે. આ સુધારાઓ દ્વારા સરકાર વિશ્વાસ આધારિત શાસનને પ્રોત્સાહન આપી રહી છે, જે ખાસ કરીને MSME અને સ્ટાર્ટઅપ્સ જેવા નાના વ્યવસાયોને વિકાસ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડશે.

વિકસિત ગુજરાતના નિર્માણ માટે એક મહત્વપૂર્ણ પગલું

આ વિધેયક ગુજરાતના વિકાસ અને રોકાણના વાતાવરણને વધુ મજબૂત બનાવશે. મંત્રી બળવંતસિંહ રાજપૂતના જણાવ્યા મુજબ, ગુજરાતે અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી વધુ કાયદા અને જોગવાઈઓમાં સુધારો કર્યો છે. આ સુધારાઓથી ઉદ્યોગસાહસિકોને લાઇસન્સ રિન્યુઅલ અથવા ફાઇલિંગના વિલંબ જેવી નાની ભૂલો માટે ફોજદારી કાર્યવાહીના ડરથી મુક્તિ મળશે. આ પગલું સરકાર અને નાગરિકો વચ્ચેના વિશ્વાસને વધુ દૃઢ કરશે અને ગુજરાતને દેશના વિકાસના રોલ મોડેલ તરીકેની ઓળખને વધુ વ્યાપક બનાવશે.

ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-2025 ના મુખ્ય લાભો

  • વિશ્વાસ આધારિત શાસનને પ્રોત્સાહન - નાગરિકોમાં બિનજરૂરી ભય ઘટશે
  • કાયદાની ચૂકની ગંભીરતા અનુસાર ફાઈન નહિ પણ પેનલ્ટી
  • ન્યાયિક પ્રણાલીના ભારણમાં ઘટાડો
  • કાયદાકીય સુધારાઓ દ્વારા વ્યાપારિક સશક્તિકરણનું દિશાસૂચન
  • જુના કાયદાઓનું સમયાનુકુલ આધુનિકીકરણ
  • એમ.એસ.એમ.ઈ. - સ્ટાર્ટઅપ્સ સહિતના અન્ય વ્યવસાયોને પ્રોત્સાહન



  • Follow us on: