રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ વિધાનસભામાં પૂછાયેલા ટી.પી. સ્કીમ સંદર્ભેના એક પ્રશ્નના ઉત્તરમાં સ્પષ્ટ પણે કહ્યું કે, રાજ્ય સરકાર પક્ષ-વિપક્ષ વિના રાજ્યની તમામ પ્રજાજનોના વિકાસ કાર્યોમાં અવિરત પણે કાર્ય કરી રહી છે.રાજ્યમાં વધતા જતા શહેરીકરણના પગલે સરકાર દ્વારા સુનોયિજીત પણે આયોજન હાથ ધરીને વિકાસ કાર્યો હાથ ધરાયા છે.


વર્ષ 2025 ના ફક્ત 8 મહિનામાં 95 જેટલી ટી.પી. સ્કીમ મંજૂર

પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગનો સવાલ કર્યો હતો કે, રાજ્યમાં સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કેટલી ટી.પી સ્કીમો મંજૂર કરવામાં આવી છે અને આ સ્કીમો પૈકી વર્ષ વાર કેટલી મુસદ્દા રૂપ, પ્રારંભિક અને આખરી સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. તેમના જવાબમાં સરકારના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષમાં 776 જેટલી ટી.પી. સ્કીમ મંજૂર કરવામાં આવી છે. તેમાં પણ વર્ષ 2025 ના ફક્ત 8 મહિનામાં 95 જેટલી ટી.પી. સ્કીમ મંજૂર કરી છે. જેની કામગીરી યુધ્ધના ધોરણે ચાલુ છે.

હાલ રાજ્યમાં 506 જેટલી નવી નગર રચનાની કામગીરી

રાજ્યમાં ટી.પી.એક્ટની તમામ જોગવાઇઓ અને નિયમ પ્રમાણે જ કામગીરી કરવામાં આવી રહી છે. કેટલાક કિસ્સામાં ટી.પી. સ્કીમની અમલવારીના વિલંબ થવાના ટેકનીકલ કારણો, કોર્ટ મેટર હોઇ શકે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેનો પણ સત્વરે નિકાલ લાવીને તમામ ટી.પી. સ્કીમ સમયમર્યાદામાં જ પુર્ણ કરવાના પ્રયાસો હાથ ધરાયા છે જેમાં મહદ્અંશે સફળતા પણ મળી હોવાનું મંત્રીએ કહ્યું હતુ. હાલ રાજ્યમાં 506 જેટલી નવી નગર રચના યોજના(ટી.પી,) બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે કાયદાકીય જોગવાઇ અનુસાર સમયમર્યાદામાં આખરી કરવામાં આવનાર હોવાનું મંત્રીએ જણાવ્યુ હતુ.


  • Follow us on: