ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓના વિદેશ પ્રવાસ સંદર્ભે એક અત્યંત મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.આ નવા ઠરાવ મુજબ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે અંગત હેતુસર કરવામાં આવતી વિદેશ યાત્રાઓ માટેના નિયમો વધુ સખત બનાવવામાં આવ્યા છે અને તેના માટે નવી તેમજ વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરી દેવામાં આવી છે.
45 દિવસ પહેલાં નિર્ધારિત ફોર્મેટમાં અરજી કરવી ફરજિયાત
નવા નિયમો અનુસાર હવે કોઈપણ સરકારી કર્મચારી કે અધિકારીએ અંગત કામકાજ અર્થે વિદેશ જવું હોય તો તેમણે પ્રવાસના ઓછામાં ઓછા 45 દિવસ પહેલાં નિર્ધારિત ફોર્મેટમાં અરજી કરવી ફરજિયાત રહેશે.વિદેશ પ્રવાસ માટે સામાન્ય વહીવટ વિભાગની પૂર્વ મંજૂરી મેળવવી અનિવાર્ય બનાવવામાં આવી છે.જો કોઈ કર્મચારી યોગ્ય પરવાનગી વગર વિદેશ પ્રવાસ કરશે તો તેમની સામે શિસ્તભંગની કડક કાર્યવાહી કરવામાં આવશે. અરજી પ્રક્રિયા દરમિયાન પારદર્શિતા જળવાઈ રહે તે માટે કર્મચારીઓએ તેમના પ્રવાસનો સ્પષ્ટ હેતુ, થનાર સંભવિત ખર્ચ તેમજ જો પ્રવાસ માટે કોઈ સ્પોન્સરશીપ મળેલ હોય તો તેની તમામ વિગતો સ્પષ્ટપણે રજૂ કરવાની રહેશે.
