ગુજરાતમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં લોકો સામે સરકારે લાલ આંખ કરી છે. રાજ્યમાં છાશ વારે પનીર, દૂધ, તેલ અને ઘી સહિતના ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે.આવી બનાવટોનું વેચાણ કરીને લોકોના આરોગ્યને જોખમમાં મુકતા લોકો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય સરકારે ભેળસેળિયા તત્વો સામે કોર્ટ કેસ કરવાની કાર્યવાહી પણ કરી છે.
ગુજરાતમાં ભેળસેળિયા સામે કડક ઝુંબેશ
ગુજરાતમાં ભેળસેળિયા સામે કડક ઝુંબેશ અંતર્ગત આરોગ્ય વિભાગે વર્ષ 2025-26ના આંકડા જાહેર કર્યા છે. જેમાં દૂધના 1282 નમૂના પૈકી 66 નમૂના અપ્રમાણિત નીકળ્યા છે. જેમાં સરકાર દ્વારા 25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત ઘીના 696 પૈકી 205 નમૂના અપ્રમાણિત નીકળ્યા છે. જેમાં બે કરોડનો દંડ ફટકારાયો છે. વાત કરીએ પનીરની તો 1400 પૈકી 195 નમૂના અપ્રમાણિત નીકળ્યા છે અને 35 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ખાદ્ય તેલના 1036 નમૂના પૈકી 85 નમૂના અપ્રમાણિત નીકળ્યા છે અને 90 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.













