ચાલુ વર્ષે અલ નીનોની અસરને પગલે શરૂઆતમાં વરસાદ ખેંચાયા બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં અનરાધાર અને ભારે વરસાદ નોંધાયો છે.આ અતિવૃષ્ટિ અને પૂર જેવી સ્થિતિના કારણે ખેડૂતોના મુખમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.અતિભારે વરસાદને લીધે કપાસ, દેશી કપાસ, ડાંગર, મગફળી, તુવેર તથા બાગાયતી પાકોમાં વ્યાપક નુકસાન થયું છે.ખેડૂતોની આ વિષમ સ્થિતિને ધ્યાન પર લાવી ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યના કૃષિ મંત્રી જિતુ વાઘાણીને પત્ર લખીને અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક ધોરણે યોગ્ય સહાય અને વળતર ચૂકવવાની રજૂઆત કરવામાં આવી છે.
માનવસર્જિત આડાશ અને જમીન ખારાપાટ થવાનું જોખમ
કિસાન સંઘે પત્રમાં ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે,કેટલીક જગ્યાઓએ માનવસર્જિત આડાશના કારણે પાણી નિકાલના કુદરતી વહેણ બદલાઈ ગયા છે. પરિણામે પાક નુકસાનીની સાથે સાથે ખેતર ધોવાણના પણ મોટા પ્રમાણમાં બનાવો બન્યા છે.હજુ પણ કેટલાય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયેલાં રહેતાં ખેડૂતોની દયનીય હાલત થઈ છે. ખાસ કરીને રણપ્રદેશ નજીકના તાલુકાઓમાં પાણી ભરાવાના લીધે સારી ફળદ્રુપ જમીનમાં ક્ષાર આગળ વધવાની અને મહામુલે જમીન કાયમ માટે ખારાપાટમાં ફેરવાઈ જવાની ભયાનક ભીતિ સેવાઈ રહી છે.
