ગુજરાત ભાજપમાં શિસ્ત અને સંગઠનના દાવાઓ વચ્ચે આંતરિક નારાજગીનો વધુ એક મોટો મામલો સામે આવ્યો છે. નર્મદા જિલ્લાની હાઈપ્રોફાઈલ નાંદોદ વિધાનસભા બેઠકના ધારાસભ્યની નારાજગીનો મુદ્દો રાજ્યના રાજકારણમાં ભારે ગરમાયો છે. આ આંતરિક વિવાદ વણસે તે પૂર્વે જ હાઈકમાન્ડ એક્શન મોડમાં આવ્યું છે અને જિલ્લા પ્રમુખ તેમજ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખને તાત્કાલિક ગાંધીનગરનું તેડું મોકલવામાં આવ્યું હતું.


પ્રદેશ મહામંત્રી દ્વારા એક ખાસ બેઠકનું આયોજન

આ સમગ્ર વિવાદને શાંત પાડવા માટે પ્રદેશ મહામંત્રી દ્વારા એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવાદ સાથે સંકળાયેલા ચારેય મુખ્ય પક્ષકારોને રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા. તમામ પક્ષોની રજૂઆતો અને દલીલો સાંભળ્યા બાદ મહામંત્રી દ્વારા તૈયાર કરાયેલો એક ગુપ્ત આંતરિક રિપોર્ટ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને સુપરત કરવામાં આવ્યો છે.

દક્ષિણ ઝોનની બેઠકનો દાવો અને આંતરિક વિવાદ

બીજી તરફ, આ હાઈવોલ્ટેજ બેઠક અંગે દક્ષિણ ઝોનના મહામંત્રી પ્રશાંત કોરાટે મીડિયા સમક્ષ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરતા દાવો કર્યો હતો કે, પ્રદેશ પ્રમુખના ઘરે માત્ર દક્ષિણ ઝોનની સંગઠલક્ષી બાબતો અંગે સામાન્ય મુલાકાત હતી. પ્રશાંત કોરાટે એવો પણ દાવો કર્યો હતો કે આ બેઠકમાં બંનેમાંથી એક પણ નેતા હાજર નહોતા.

ભાજપ એક અખંડ પરિવાર છે

જોકે, આ આંતરિક ખેંચતાણ અંગે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, "ભાજપ એક અખંડ પરિવાર છે અને પક્ષમાં સૌ સાથે મળીને જ કામ કરતા હોય છે." તેમણે ઉમેર્યું કે જો કોઈ સ્થાનિક પ્રશ્ન કે વિવાદ હોય, તો પાર્ટી તેની કાળજી લે છે અને તેનું યોગ્ય નિરાકરણ લાવે છે. આ રિપોર્ટના આધારે હવે આગામી દિવસોમાં સંગઠન દ્વારા નાંદોદ ભાજપના વિખવાદને ડામવા માટે મોટા પાયે આકરા પગલાં લેવાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.


આ પણ વાંચો----    Sandesh Digital Explainer : રામ નામે પથ્થર તર્યા..! અયોધ્યા રામ મંદિરમાં સવા વર્ષ સુધી કેવી રીતે ચાલ્યું કરોડોનું ' દાન કૌભાંડ'? વાંચો ઇન-ડેપ્થ માહિતી

  • Follow us on: