ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં નવરાત્રિ દરમિયાન થયેલી હિંસક અથડામણના મામલાએ રાજકીય અને વહીવટી સ્તરે ભારે હલચલ મચાવી છે. આ હિંસા અને ત્યારબાદ તંત્ર દ્વારા લેવાયેલા સખત પગલાંના ગણતરીના દિવસોમાં જ બહિયલના મહિલા સરપંચ અફસાનાબાનુ સજ્જાદહુસેન ચૌહાણે પોતાનું પદ છોડી દીધું છે. તેમણે પોતાના રાજીનામા પત્રમાં 'અગમ્ય કારણોસર' રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. સરપંચે પોતાનું રાજીનામું તાલુકા વિકાસ અધિકારી (TDO)ને વોટ્સએપ દ્વારા મોકલી આપ્યું હતું. જોકે, આ રાજીનામું તાજેતરની હિંસા અને દબાણ હટાવવાની કાર્યવાહીના તણાવના કારણે અપાયું હોવાની વ્યાપક ચર્ચા છે.
'દાદાનું બુલડોઝર' ફરવાની તૈયારી
સરપંચના રાજીનામાની આ ઘટના પહેલાં, બહિયલમાં નવરાત્રિમાં થયેલી બબાલને પગલે તંત્ર સંપૂર્ણપણે હરકતમાં આવ્યું હતું. ગામમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. આ વિવાદ બાદ ગ્રામ પંચાયત અને અન્ય સરકારી જગ્યાઓ પરના તમામ કાચા-પાકા ગેરકાયદે દબાણોને નોટિસ પાઠવવામાં આવી હતી. તંત્રએ નોટિસ દ્વારા દબાણકર્તાઓને જાતે જ દબાણ હટાવી લેવા માટેની સ્પષ્ટ સૂચના આપી હતી. જો દબાણકર્તાઓ આ સૂચનાનું પાલન નહીં કરે, તો વહીવટી તંત્ર દ્વારા 'દાદાના બુલડોઝર' દ્વારા કાર્યવાહી કરીને આ દબાણો તોડી પાડવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી.













